ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આખું ભારત ઉત્તેજનામાં છે. જોકે, આ ઉત્સાહની વચ્ચે સોશિયલ મીડિયા પર સ્ટેડિયમને લઈને 'પનોતી' અને અશુભ હોવાની અફવાઓએ પણ જોર પકડ્યું છે. ભૂતકાળની કેટલીક હારના સંદર્ભમાં ફેલાયેલી આ નકારાત્મકતાને દૂર કરવા માટે ક્રિકેટ ચાહકોએ હવે મેદાનમાં ઉતરીને અનોખા અંદાજમાં 'નજર' ઉતારવાનું શરૂ કર્યું છે.
સોશિયલ મીડિયા પર અંધશ્રદ્ધા વિરુદ્ધ આસ્થાની જંગ
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવી રીલ્સ અને પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં આ સ્ટેડિયમને ભારત માટે કમનસીબ ગણાવવામાં આવી રહ્યું છે. ચાહકોના મનમાં ઉભો થયેલો આ ડર દૂર કરવા માટે અમદાવાદના રસ્તાઓ પર અને સ્ટેડિયમની બહાર અદભૂત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોઈ ચાહક સ્ટેડિયમની દિવાલ પાસે ઉભા રહીને લીંબુ-મરચાંથી નજર ઉતારી રહ્યો છે, તો કોઈ શંખ ફૂંકીને અને ઘંટડી વગાડીને સ્ટેડિયમની આરતી ઉતારી રહ્યું છે.
તુલિપનો અનોખો વિરોધ: 'હિસ્ટ્રી રીપીટ અને ડિફીટ'
આવી જ રીતે તુલિપ નામના એક ઉત્સાહી ક્રિકેટ ચાહકે સ્ટેડિયમ પાસે લીંબુ-મરચાંથી નજર ઉતારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તુલિપના જણાવ્યા મુજબ, "સોશિયલ મીડિયા પર હાલ 'હિસ્ટ્રી રીપીટ' (ઇતિહાસનું પુનરાવર્તન) અને 'હિસ્ટ્રી ડિફીટ' (ઇતિહાસને હરાવવો) જેવી વાતો ચાલી રહી છે. ભારત ફાઈનલમાં પહોંચીને ઈતિહાસનું પુનરાવર્તન તો કરી જ રહ્યું છે, પણ જીત મેળવીને જૂના કડવા અનુભવોના ઈતિહાસને હરાવશે તેવી મને પૂરી શ્રદ્ધા છે."
અમદાવાદમાં આજે રમાનારો આ મુકાબલો માત્ર રમત નથી, પણ કરોડો લોકોની આસ્થા અને લાગણીઓનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે આ લીંબુ-મરચાં અને ફેન્સની પ્રાર્થનાઓ મેદાન પર કેટલો જાદુ ચલાવે છે.