BREAKING NEWS

જામનગર : ટ્રાફીક સર્જતા ખોડીયાર કોલોની માર્ગ પરના ગેપ ન પુરવા પાછળ રાજકીય અડચણ..?

  • December 09, 2025 11:07 AM 



જામનગરમાં સતત ટ્રાફીકથી ધમધમતા ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના અડધા કીમીના માર્ગમાં ૧૦ ગેપ એટલે કે ક્રોસીંગથી આ માર્ગ પર ટ્રાફીકના અજગરી ભરડાથી જીવલેણ અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. આમ છતાં ટ્રાફીક સર્જતા ખોડીયાર કોલોની માર્ગ પરના ગેપ ન પુરવા પાછળ રાજકીય અડચણ કારણભૂત હોવાનું સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. આ માર્ગ પર ક્રોસીંગની ભરમારથી વાહનચાલકો માટે આવાગમન દુષ્કર બન્યું હોવા છતાં જામ્યુકો પણ આંખ મીચામણા કરતા દરરોજ ચકકાજામના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ માથાના દુ:ખાવા રૂપ સમસ્યાથી દુકાનદારો અને રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. 


જામનગરના મુખ્ય માર્ગો પર કેન્સર સમાન બનેલી ટ્રાફીક સમસ્યા નિવારવા માટે તાજેતરમાં મહાનગરપાલિકાએ ૨૨૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત ફલાયઓવર શહેરજનો માટે ખુલ્લો મૂકયો છે. પરંતુ હજુ પણ ઘણા મુખ્ય માર્ગો પર ટ્રાફીક સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. જેનો ઉકેલ મનપા પાસે છે પરંતુ તે દીશામાં કામગીરી કરવાની ઇચ્છાશકિત નથી તો અમુક કિસ્સામાં રાજકીય દખલગીરી અવરોધ બની રહી છે. ત્યારે શહેરમાં તેનું જીવંત ઉદાહરણ ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ છે. કારણ કે, આ અડધા કીમીના માર્ગમાં વચ્ચેથી આવાગમન માટે ૧૦ નાના-મોટા ગેપ એટલે કે ક્રોસીંગ રાખવામાં આવ્યા છે. જેના કારણે આ માર્ગ પર બંને બાજુ આવેલા વિસ્તારોમાંથી તથા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ટર્ન લેતા હોય દિવસમાં છાશવારે આ માર્ગ પર ટ્રાફીકજામની વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 



ખાસ કરીને સાંજના સમયે તો મોટી સંખ્યામાં ટ્રક, ખાનગી બસ સહીતના ભારે તથા નાના વાહનોના આવાગમનથી રોજ ચકકાજામ થાય છે. ખાસ કરીને ગેપમાં એટલે કે ક્રોસીંગમાં વાહનોના ટર્નના કારણે માર્ગની બંને બાજુ વાહનોની કતારો લાગતા ટ્રાફીકજામથી વાહનચાલકો તોબા પોકારી ગયા છે. ટ્રાફીકજામથી આ માર્ગ પર પ્રદૂષણે પણ માઝા મૂકી છે. આ સમસ્યાથી આ વિસ્તારમાં રહેતા લોકો અને દુકાનદારો ત્રાહીમામ પોકારી ગયા છે. બીજી બાજુ ટ્રાફીકના કારણે જીવલેણ અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. ત્યારે શહેરમાં એકમાત્ર આ માર્ગ પર અડધા કીમીના માર્ગમાં ૧૦ થી વધુ ગેપ(ક્રોસીંગ) હોય તે બુરવા પાછળ પણ રાજકીય અડચણ કારણભૂત હોવાનું સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. આટલું જ નહીં જામ્યુકો પણ આ ગંભીર સમસ્યા બાબતે આંખ મીચામણા કરતા આ માર્ગ પર ટ્રાફીક સમસ્યાએ માઝા મૂકી છે. ત્યારે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગમી દીવસોમાં કોઇ જીવલેણ અકસ્માત થશે તો જવાબદારી કોની તે સળગતો સવાલ ઉઠયો છે. 


જામ્યુકો ફકત નાણાંનો ધુમાડો કરવામાં પાવરધી, અન્ય શહેરોમાંથી બોધપાઠ  લેતી નથી..?

જામ્યુકો શહેરમાં સીમેન્ટ-ક્રોકીંટના જંગલો ઉભા કરી નાણાંનો ધુમાડો કરવામાં પાવરધી હોવાનું શહેરીજનોમાં સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. કારણ કે, શહેરીજનોને કનડતી માર્ગ પર વાહન પાર્કીંગ, નિયમિત સફાઇ, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી મુકિત અપાવી શકી નથી. આટલું જ નહીં ઓડીટોરીયમ , ક્રીકેટનું મેદાન સહીતના વિકાસના દીવા સ્વપ્નો વર્ષોથી બતાવી રહી છે. પરંતુ અન્ય શહેરોના વિકાસમાંથી બોધપાઠ લેતી નથી.

​​​​​​​

કારણ કે, રાજકોટમાં ટ્રાફીકથી ધમધમતા કાલાવડ માર્ગ પર ગેપના કારણે ટ્રાફીકની સમસ્યા થતી હતી. આથી રાજકોટ મનપાએ આ ગાળા બુરી દેતા માર્ગની બંને બાજુ એક તરફ વાહનોનું આવાગમન રહે છે. ત્યારે તેમાંથી બોધપાઠ લઇ ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગમાં આવેલા ગેપ બુરવામાં આવે તો આ માર્ગ પર ટ્રાફીક સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ થાય તેમ તજજ્ઞોએ જણાવ્યું છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application