ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં જામનગરના ઘણા રત્ન જડાયેલા છે, એ પૈકીના એક એવા સ્વ.સલીમ દુરાનીનું નામ આવનારા દાયકાઓ સુધી ક્રિકેટની દુનિયામાં લેવાતું રહેશે ત્યારે એમને ટાંકીને ઇન્સ્ટાગ્રામ પર વહેતી થયેલી પોસ્ટ ભારે વાયરલ થઇ છે, જેમાં માનસીક રીતે અસ્વસ્થ લાગતી મહીલાએ પોતાને સ્વ.દુરાનીની પત્ની હોવાનું કહ્યું છે, બીજી તરફ સ્વ.દુરાનીના પરીવારજનોએ આ પોસ્ટ સામે આકરો વિરોધ નોંધાવીને બીસીસીઆઇ સુધી જાણ કરી છે. ઇન્સ્ટા પર કોઇ તરૂણ મિશ્રા નામની વ્યકિતએ આ પોસ્ટ મુકી છે.
પોસ્ટમાં દુબળા પાતળા લગભગ ૭૦-૮૦ વર્ષની વયના એક મહીલાને દેખાડવામાં આવ્યા છે જેમાં વૃઘ્ધોની સેવા કરતા ગ્રુપ દ્વારા એમને રીહેબ સેન્ટરમાં લઇ જવામાં આવતા દેખાડવામાં આવ્યા છે અને ઇન્સ્ટા પર પોસ્ટ મુકનાર વ્યકિત એમની સાથે વાત કરતા જોવા મળ્યા છે જેમાં આ વૃઘ્ધાએ જે વાત કરી છે તે બધા માટે આશ્ર્ચર્યજનક રહી.
મહીલાએ કહ્યું છે કે, હું મુંબઇ રહુ છું, હમણા હું દુબઇ ગઇ હતી, મારૂ નામ રેખા શ્રીવાસ્તવ છે, હું સલીમ દુરાનીની પત્ની છું, હું પ્લેન ચલાવતી હતી મતલબ કે પાયલોટ હતાં, મારી પાસે મુંબઇમાં મોટો બંગલો હતો જે વેંચી નાખ્યો પછી મારી સ્થિતિ ખરાબ થઇ ગઇ, હું સલીમ સાથે ઘણા બધા મહારાજાઓ, મીનીસ્ટરોને મળી છું, ગુજરાતના પણ એક મહારાજાને હું મળી હતી જેની સાથે સલીમના સારા સંબંધ હતાં.
પોસ્ટમાં દેખાડવામાં આવ્યું છે કે, માનસીક અસ્વસ્થ લાગતા આ મહીલાને રીહેબમાં લઇ જઇને સારા કપડા પહેરવવામાં આવે છે, વિગેરે..વિગેરે.. જોવા મળ્યું છે. પોલીસે આ મહીલાને બેલાપુર રેલ્વે સ્ટેશનેથી અત્યંત ખરાબ સ્થિતિમાં જોયા બાદ રીહેબ સેન્ટરમાં મોકલ્યા હતાં.
આ પોસ્ટ ઇન્સ્ટા પર મુકવામાં આવ્યા બાદ ધડાધડ વાયરલ થઇ રહી છે, અનેક પ્રકારની કોમેન્ટ આવી રહી છે ત્યારે સલીમ દુરાનીના ભાણેજ શબીર દુરાનીએ આ પોસ્ટ સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને આટલું જ નહીં બીસીસીઆઇ સાથે વાત કરી છે, કરશન ઘાવરીને વાતથી વાકેફ કરાયા છે, આ ઉપરાંત પરીવારજનો દ્વારા તરૂણ મિશ્રાનો પણ સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, ત્રણ વર્ષ પહેલા મહાન ક્રિકેટર સ્વ.સલીમ દુરાની ફાની દુનિયા છોડી ચુકયા છે.