માત્ર બે ઇંચ વરસાદમાં પ્રિમોન્સુન કામગીરી પાણીમાં ડૂબી ગઇ !

  • June 18, 2025 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાના તંત્રની પ્રિમોન્સુનની કામગીરી પાણીમાં ડૂબી ગઇ હોય તેમ માત્ર બે ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે ત્યારે લોકો આક્રોશ સાથે એવુ જણાવી રહ્યા છે કે, બહારના સરકારી બાબુઓને પોરબંદરની ભૂગોળની કયાંથી ખબર હોય ?! અને તેથી જ હવે લોકોની સમસ્યાને મ્યુનિસિપલ કમિશ્ર્નર પ્રજાપતિ અને વહીવટદાર ધાનાણી એ.સી. ઓફિસમાંથી બહાર નીકળીને  પરિસ્થિતિનું ‚બ‚ નિરીક્ષણ કરીને સમજે તે જ‚રી બન્યુ છે.



પોરબંદરમાં માત્ર બે ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઇ ગયા છે. છેલ્લા એક મહિનાથી પ્રિમોન્સુનની કામગીરી  કર્યાના બણગા ફૂકતા પોરબંદર મહાનગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઇ હોય તેવુ જણાઇ રહ્યુ છે. કારણે થોડાઘણા વરસાદમાં જ પોરબંદરના હજારો લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પક્ષી  અભ્યારણ્ય નજીક જ્યાં નવુ પંપીગ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે ત્યાંથી ૫૦૦ મીટરના અંતરે જ વી.જે. મોઢા કોલેજ તરફ વોકીંગ પ્લાઝા પાસેનો રસ્તો બંધ થઇ ગયો છે. જેના કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મહાનગરપાલિકાના અધિકારીઓ દરરોજ એવો દાવો કરતા હતા કે મુખ્ય અને ઉંડી ગટરોની સફાઇ થઇ છે અને ખૂબ વ્યવસ્થિત આયોજન થયુ છે પરંતુ આ દાવા પોકળ સાબિત થયા હોય તેમ માત્ર બે ઇંચ વરસાદમાં પક્ષી અભ્યારણ્ય પાસે વરસાદી પાણી ભરાઇ ગયા છે. ગત વર્ષે દસ ઇંચ વરસાદ પછી જે પરિસ્થિતિ ઉભી થઇ હતી.  તે પરિસ્થિતિ અત્યારે માત્ર બે ઇંચ વરસાદમાં જ ઉભી થઇ ગઇ છે અને પાણીનો નિકાલ થતો નથી.



તો બીજી બાજુ છાયાના પેટ્રોલપંપથી પંચાયત ચોકી અને પ્રતાપ મંડપ નજીકના વિસ્તારોમાં પણ રણના પાણી ઉપરાંત ગટરના પાણી વહાવવાને લીધે તેમજ વરસાદી પાણીને કારણે આ વિસ્તારના લોકોને જીવવુ મુશ્કેલ બની ગયુ છે. મહાનગરપાલિકાના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશ્ર્નર હસમુખ પ્રજાપતિ અને જિલ્લા કલેકટર કમ વહીવટદાર તેમની એ.સી. ચેમ્બરમાંથી બહાર નીકળીને ‚બ‚ આવીને પરિસ્થિતિ નિહાળે તો ખ્યાલ આવે કે વાસ્તવિકતા શું છે? અને પ્રીમોન્સુનની કામગીરી કરનારા અધિકારીઓએ કાગળ ઉપર કેવુ કામ કર્યુ છે તે સાબિત થઇ જશે.


ગત વર્ષે પણ ખીજડીપ્લોટથી છાયાચોકી તરફનો રસ્તો, બીરલાહોલથી ભાજપ કાર્યાલય તરફનો રસ્તો અને પક્ષી અભ્યારણ્યથી વી.જે. મોઢા કોલેજ સુધીનો રસ્તો કે જ્યાં ૫૦૦ થી વધુ પરિવારો વસવાટ કરે છે તેમના ઘરમાં વરસાદ અને ગટરના પાણી દિવસો સુધી ઘુસી  ગયા હતા અને તેના કારણે ઘરવખરીને મોટું નુકશાન થયુ હતુ. છતાં મામુલી સહાય ચુકવવામાં આવી હતી અને આ વિસ્તારના લોકો મચ્છરજન્ય, પાણીજન્ય સહિત ચામડીના રોગોનો ભોગ બનીને દિવસો સુધી હેરાન થયા હતા. તે જ પરિસ્થિતિનું નિર્માણ  આ વર્ષે પુન: થઇ રહ્યુ હોય તેવું અત્યારે જણાઇ રહ્યુ છે. માટે પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ મસ મોટા વેરા વસુલવા માટે જેટલો ઉત્સાહ દાખવે છે તેટલો જ ઉત્સાહ વરસાદી પાણીના નિકાલ માટે પણ દાખવે તેવી સ્થાનિક રહેવાસીઓ દ્વારા માંગ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News