BREAKING NEWS

જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ ,કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા

  • November 03, 2025 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

4 નવેમ્બરથી શરૂ થશે ઘર ઘર મુલાકાત અભિયાન

ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં જેમ મતદાર યાદી સદન સુધારણા કાર્યક્રમ શરૂ થવાનો છે, તે મુજબ જામનગર જિલ્લામાં પણ સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અંગે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.

કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે આવતીકાલે, તા. 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી જિલ્લામાં દરેક મતદારોના ઘરે જઈને એન્યુમેરેશન ફોર્મ વિતરણ કરવામાં આવશે. દરેક મતદારોને તેમના ઘરે જઈને મતદાર યાદી સંબંધિત માહિતી ચકાસવામાં આવશે તથા જરૂરી ફેરફાર અથવા સુધારણા માટે માર્ગદર્શન આપવામાં આવશે.

આ કામગીરી માટે જિલ્લાના તમામ બીએલઓ (BLO)ને તા. 1 થી 3 નવેમ્બર દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવી છે. તેઓને મતદારોના ઘરની ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેવાની રહેશે અને એન્યુમેરેશન ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે પરત મેળવવાની રહેશે.

મતદારોને ફોર્મ ભરવામાં સહાયતા આપવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે. ઉપરાંત તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને પક્ષોને બૂથ લેવલ એજન્ટ (BLA) નિમણૂક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમ હેઠળ તૈયાર થનારી ડ્રાફ્ટ મતદાર યાદી તા. 4 ડિસેમ્બર 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ત્યારબાદ તેમાં જરૂરી આક્ષેપ અને સૂચનો સ્વીકારવામાં આવશે. સુધારાયેલ અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવશે.

કલેક્ટર  કેતન ઠક્કરે જિલ્લામાંના તમામ મતદારોને અપીલ કરી છે કે, તેઓ મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં સક્રિય રીતે સહયોગ આપે જેથી પારદર્શક અને ચોકસાઈભરેલી મતદાર યાદી તૈયાર થઈ શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application