ખેડૂતો સાથે ભાગમાં રહી ખેતી કરતાં ખેતી કરી ગુજરાન ચલાવતા ભાગીયા મજુર તરીકે કામ કરતાં આદિવાસીઓ દ્વારા ધ્રોલ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ખેત મજૂરોને થતા અન્યાય, જુલમ, શોષણ સામે રક્ષણ અને વિવિધ માંગ સાથે મામલતદાર મારફત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્ય મંત્રીને વિશાળ સંખ્યામાં એકઠા થઈ રજુઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે આદિવાસી વિસ્તારોમાંથી હજારો આદિવાસી પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા માટે ભાગિયા મજૂર તરીકે કામ કરવા માટે ગુજરાતમાં સ્થળાંતર કરે છે. તેઓ વિવિધ પ્રકારના અન્યાય, જુલમ અને શોષણનો ભોગ બને છે. આદિવાસી પરિવાર માંગ કરે છે કે અતિશય વરસાદથી જેમના પાકને નુકસાન થયું હતું તેવા ભાગિયા મજૂરોનો સર્વે કરવામાં આવે અને નુકસાન માટે વળતર આપવામાં આવે. રાજ્ય સરકારે ખેડૂતોને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જારી કર્યું છે અને કેટલાકને વળતર ચૂકવવામાં આવી રહ્યા છે.પરંતુ જે લોકો ખેતરોમાં કામ કરે છે. અને પાકની ખેતી કરે છે. તેમને આનો કોઈ ફાયદો થશે નહીં. જે નુકસાન થયું છે તે ભાગિયા મજૂરોનું છે.
પાક ભાગિયા મજૂરો દ્વારા ઉગાડવામાં આવતો હતો. ખેડૂતો ભાગીયા મજૂરોને એડવાન્સ લોન આપે છે. લોનના બદલામાં, ભાગિયા મજૂરોને ખેડૂતોના ખેતરોમાં દિવસ-રાત કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. નાની નાની બાબતો પર દુર્વ્યવહાર અને હિંસા સામાન્ય છે. ભાગિયા મજૂરોની ગણતરી વર્ષના અંતે ૪ થા ભાગમાં કરવામાં આવે છે. તેમને બીજે ક્યાંય કામ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. ભાગિયા મહિલા મજૂરોના જાતીય શોષણના બનાવો બને છે. તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેના બદલે, મહિલા મજૂરોને ધમકી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેઓ લોન ચૂકવવાનું ટાળવા માટે ખોટા આરોપો લગાવી રહ્યા છે. પાક ક્યારે વેચવો અને ક્યા ભાવે વેચવો, બધુ ખેડૂતોની વિવેકબુદ્ધિપર આધાર રાખે છે. ભાગિયા મજૂરોને કોઈ માહિતી આપવામાં આવતી નથી.
ભાગિયા મજૂરોને રહેઠાણ, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. આ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. કામ કરતી વખતે અકસ્માત થાય તો ભાગિયા મજૂરોને કોઈ વળતર આપવામાં આવતું નથી. તે વળતર આપવું જોઈએ. ભાગિયા મજૂરોને થઈ રહેલા અન્યાય, જુલમ અને શોષણ સામે કાનૂની કાર્યવાહી કરીને તેમને ન્યાય મળે તેવી આદિવાસી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે.