રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં દર વર્ષે ભાજપ લીગલ સેલમાં જુઠ બંધીને કારણે અંદરોઅંદર જંગ જામે છે. ત્યારે આ વર્ષે ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા જ ફરી ભાજપ પ્રેરિત વકીલોના બંને જૂથ સામસામે આવી ગયા છે. જેમાં તા.૧૯/ ૧૨/ ૨૦૨૫ના રોજ યોજાનાર ચુંટણી માટે ભાજપ લીગલ સેલના સ્થાનિક હોદ્દેદારો સમરસ પેનલ દ્વારા ગઈ કાલે ઉમેદવારી નોંધાવાઇ હતી. લીગલ સેલના હરીફ જૂથની આરબીએ પેનલના ઉમેદવારોએ આજે બપોરે 12:39 વાગ્યે સિનિયર જુનિયર વકીલો અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહૂર્તમાં વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.
બાર એસો.ની વર્ષ ૨૦૨૫-૨૬ની તા.૧૯/ ૧૨/ ૨૦૨૫ના રોજ યોજાનાર ચુંટણીમાં ભાજપ લીગલ સેલમાં પ્રવર્તતો જૂથવાદ ફરી સામે આવ્યો છે. તેમાં ગઈકાલે "સમરસ પેનલ"ને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી હતી. તો હરીફ જૂથ દ્વારા આરબીએ પેનલને ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં આરબીએ પેનલના ઉમેદવારોમાં પ્રમુખપદ માટે હાલના ઉપપ્રમુખ સુમિત વોરા, ઉપ પ્રમુખમાં બિમલ જાની, સેક્રેટરીમાં નીલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરીમાં જયેન્દ્ર ગોંડલિયા, ટ્રેઝરર મહિલા અનામતમાં ઉમેદવાર પ્રગતિ માકડિયા, લાઇબ્રેરી સેક્રેટરીમાં કેતન મંડ, કારોબારીમાં ત્રણ મહિલા અનામતમાં નિશાબેન લુણાગરિયા, મિનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાધ્યાય, 7 બિનઅનામત કારોબારી સભ્યપદમાં સંજય ડાંગર, સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, હસમુખ સાગઠીયા, કલ્પેશ સાકરીયાએ નામાંકન પત્રો ભરી ચૂંટણી કમીશ્નર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ કમલેશભાઈ જોશીપુરા, મહિલા ભાજપ અગ્રણી ભાવનાબેન જોશીપુરા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય હિતેશભાઈ દવે, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, રેવન્યુ બારના પ્રમુખ આર.ટી. કથીરીયા, રેલ્વે બારના પ્રમુખ સંજયભાઈ વ્યાસ, એમએસીપી બારના પ્રમુખ ગોપાલ ત્રિવેદી, લેબર બારના પ્રમુખ સુનીલભાઈ વાઢેર, વોઈસ ઓફ લોયર્સ અને લોયર્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા, નોટરી એસોસિએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, રાજકોટ ડીસ્ટ્રીકટ બારના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્યો વિમલ ડાંગર, વીરેન વ્યાસ, ધર્મેશ સખીયા, પૂર્વ પ્રમુખ અને કાયમી પ્રમુખનું બિરુદ ધરાવનાર ટી.બી. ગોંડલિયા, સીનીયર એડવોકેટ ગિરીશભાઈ ભટ્ટ, જયુભાઈ શુક્લ, જી.આર.ઠાકર સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.