રાજકોટ જિલ્લામાં વરસાદે કુલ ત્રણ જીવ લીધા; ત્રણ ઇમારત ધ્વસ્ત થઈ
રાજકોટ જિલ્લામાં વરસાદે કુલ ત્રણ જીવ લીધા; ત્રણ ઇમારત ધ્વસ્ત થઈ
August 03, 2026 03:14 PM
રાજકોટ જિલ્લામાં છેલ્લા વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ દરમિયાન જિલ્લામાં બે માનવ અને એક પશુના મૃત્યુ નોંધાયા છે. સાથે જ વરસાદના કારણે જર્જરિત હાલતમાં આવેલા ત્રણ મકાન ધરાશાયી થતાં તંત્ર વધુ સતર્ક બન્યું છે..જિલ્લા વહીવટી તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરસાદને કારણે સર્જાયેલી વિવિધ ઘટનાઓમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે એક પશુનું પણ મોત નોંધાયું છે. સંબંધિત વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોને જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે જૂના અને જર્જરિત બનેલા ત્રણ મકાન ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, તંત્રની સમયસરની કામગીરીના કારણે વધુ જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોખમી અને જર્જરિત ઇમારતોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાઓ અને જોખમી સ્થળો પર ખાસ દેખરેખ રાખવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ અનાવશ્યક બહાર ન નીકળવા, જર્જરિત મકાનોથી દૂર રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.