સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉનાળાની ગરમી હજુ યથાવત છે. બીજું તરફ હવામાન વિભાગ દ્વારા 15, 16 જૂનથી ચોમાસુ સક્રિય થવા ઉપરાંત વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે તા. 20 થી 28 ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તેજ થવાની અને 15 16 જૂન સુધીમાં ચોમાસુ સક્રિય થવા ઉપરાંત ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે તારીખ 20 થી 28 ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની અને સમુદ્રમાં ઉંચા મોજા ઉછળવાની આગાહી કરી છે, તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 2-3 દિવસ દરમિયાન ગાજવીજ, વીજચમકારા અને 40-50 કિ.મી.ની ઝડપે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. તેના કારણે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. રાજકોટમાં આજે મહત્તમ 40 અને લઘુત્તમ 28 ડિગ્રી રહેવાનો અંદાજ છે.
ગઇકાલે રાજકોટનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી અને લઘુત્તમ 27 ડિગ્રી નોંધાયું હતું. સવારે 8:30 વાગ્યે તાપમાન 30.8 ડિગ્રી, ભેજ 75% અને પવનની ગતિ 12 કિ.મી./કલાક રહી હતી, જેના કારણે દિવસભર ઉકળાટ અને બફારો અનુભવાયો હતો.
રાજ્યના હવામાનના આંકડા મુજબ અમદાવાદ 41.3 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું. ત્યારબાદ ગાંધીનગર 40.7, રાજકોટ 40.6, સુરેન્દ્રનગર 40.4, અમરેલી 40.1, કંડલા 39.5, વડોદરા 39.4, ડીસા 39.2, ભાવનગર 39, ભુજ 38 અને નલીયામાં 35.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન હવામાન વિભાગ દ્વારા બપોરે 12થી 4 દરમિયાન તડકામાં કામ ટાળવું, પૂરતું પાણી પીવું. ખેડૂતોને વાવણી માટે ચોમાસાના સત્તાવાર આગમનની રાહ જોવાની સલાહ આપવામાં આવી છે.
નૈઋત્યના ચોમાસા વિષે મોટું અપડેટ
હવામાન વિભાગ મુજબ, ચોમાસું 16 મેના રોજ આંદામાન પહોંચી ગયું હતું અને હાલ કેરળ પહોંચ્યા બાદ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. જોકે અન્ય એક અનુમાન મુજબ ગુજરાતમાં 20 જૂન પછી અનરાધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.