પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વગર ટિકિટ અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો વિરુદ્ધ વ્યાપક તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સતત દેખરેખ અને સઘન ચેકિંગના પરિણામે, રાજકોટ ડિવિઝને આ વર્ષે ટિકિટ ચેકિંગ દ્વારા રૂ.10.95 કરોડની આવક પ્રાપ્ત કરી છે. જે ગત નાણાકીય વર્ષમાં મળેલી 6.50 કરોડની આવકની સરખામણીએ 68.23% વધુ છે.
વર્ષ 2025-26માં વગર ટિકિટ/અનિયમિત ટિકિટના કુલ 1,50,681 કેસ નોંધાયા હતા, જે ગત વર્ષે નોંધાયેલા 95,011 કેસની સરખામણીમાં 58.59% વધુ છે.
જેમાં વગર ટિકિટ મુસાફરીના 73,618 કેસમાંથી રૂ.6.85 કરોડ, ઊંચી શ્રેણીમાં મુસાફરી કરી રહેલા 71,427 મુસાફરો પાસેથી રૂ.4.066 કરોડ, ઓવર ટ્રાવેલિંગના 833 કેસમાંથી રૂ.2,51,955 અને બુક ન કરાવેલા સામાનના 212 કેસમાંથી રૂ.20,120ની આવક પ્રાપ્ત થઈ છે.
રેલવેના 'ફ્રન્ટલાઇન' ગણાતા કોમર્શિયલ સ્ટાફની આ શાનદાર સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીના, આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર હિતેશ જોષી તથા રમેશ પાંડોર, મુખ્ય ટિકિટ ચેકિંગ ઇન્સ્પેક્ટર શ્રી કે.સી. ગુર્જર અને સમગ્ર ટિકિટ ચેકિંગ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
સાથે જ, ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમારે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ યોગ્ય ટિકિટ ખરીદીને સન્માનપૂર્વક મુસાફરી કરે.