તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં રેશન કાર્ડ ઈ-કેવાયસીની ૯૧.૪૪ ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાનું જાહેર કરાયું હતું. રેશનકાર્ડ ઇ કેવાયસીની કામગીરીમાં પણ રાજકોટ શહેર અને જિલ્લો મોખરે રહ્યા છે.
આ બેઠકમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ શહેર અને જિલ્લામાં નવેમ્બર-૨૦૨૫ દરમિયાન લાભાર્થીઓને ઘઉં, ચોખા, બાજરી, તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠું આપવામાં આવેલ જથ્થાની વિગત રજુ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને ૧૫ કિલો ઘઉં, ૨૦ કિલો ચોખા, તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને બે કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા વિના મૂલ્યે આપવામાં આવે છે.
વધુમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબો તેમજ અગ્રતા ઘરાવતા કુટુંબોને જાન્યુઆરી -૨૦૨૪થી પાંચ વર્ષ માટે ઘઉં અને ચોખા જેવા અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં હાલમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ કુલ ૩,૧૧,૮૨૯ રેશનકાર્ડનો અને તેમાં નોંધાયેલ જનસંખ્યા ૧૨,૬૯,૭૨૩ નો સમાવેશ થયેલ છે.
ભારત સરકારની વન નેશન વન રાશનકાર્ડ યોજના અંતર્ગત નવેમ્બર-૨૦૨૫માં શહેરમાં ૬,૪૮૨ રાજકોટ જિલ્લાના લાભાર્થીઓ જયારે અન્ય જિલ્લાના ૩૧૪૭ લાભાર્થીઓ, અન્ય રાજ્યના ૪૯૫ લાભાર્થીઓને, રાજકોટ તાલુકામાં જિલ્લાના ૧૧૩૩૩, અન્ય જિલ્લાના ૭૭૪૩ અન્ય રાજ્યના ૯૫૪ લાભાર્થીઓ મળીને શહેર તેમજ તાલુકાના કુલ ૧૭,૮૧૫ લાભાર્થી રાજકોટ જિલ્લાના, ૧૦,૮૯૦ અન્ય જિલ્લાના અને ૧,૪૪૯ અન્ય રાજ્યના નાગરિકોને રાશન પૂરું પાડવામાં આવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં ૯૧.૪૪ ટકા ઈ-કેવાયસી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાનું તેમજ રાજકોટ જિલ્લામાં આવેલ વાજબી ભાવની દુકાનોની તપાસ અને સીઝ કરાયેલી દુકાનની વિગત રજૂ કરાઇ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, કલેક્ટર ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફૂલમાલી, બોલબાલા ટ્રસ્ટના અધ્યક્ષ જયેશભાઈ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહયા હતા.