રાજકોટ શહેર જિલ્લાની પ્રાથમિક મતદાર યાદીનો ડ્રાફ્ટ આજે પ્રસિધ્ધ થઇ ચૂક્યો છે. આજથી તા.૧૮ જાન્યુઆરી સુધી મતદાર યાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકશે. જે ભારતના નાગરિક છે અને સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન (એસઆઇઆર)પછી કોઇ કારણસર ડ્રાફટ યાદીમાં નામ સામેલ થયું નથી તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નં.૬ ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે.રાજકોટ શહેર અને જિલ્લાના કુલ ૮ વિધાનસભા ક્ષેત્રમાં એસઆઇઆરના અંતે ૨૦,૫૫,૩૩૭ મતદારો હોવાનું જાહેર થયું છે. જયારે ગેરહાજર, મૃત અને સ્થળાંતરિત મતદારોની સંખ્યા ૩,૩૫, ૬૭૦ હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં એસઆઈઆર બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાઇ છે, જેમાં મતદાન મથકોની સંખ્યામાં ૨૫૬નો વધારો થયો છે અને આ સાથે મતદાન મથકોની કુલ સંખ્યા ૨૫૧૨ થઇ છે.આજે સવારે ૧૧ વાગ્યે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, દર્શિતાબેન શાહ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણી પંચની નવી ગાઇડલાઇન મુજબ હવે કોઇ પણ મતદાન મથક ઉપર ૧૨૦૦થી વધુ મતદારો રાખી શકાશે નહીં. આ નિયમને પગલે રાજકોટમાં બુથની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થયો છે. અગાઉના બુથ ૨૨૫૬ હતા જેમાંથી વધીને હવે નવા બુથ ૨૫૧૨ થયા છે. કુલ ૨૫૬ બુથનો વધારોનો વધારો નોંધાયો છે, અગાઉ ૨૩,૯૧,૦૨૭ મતદારો હતા, જે એસઆઇ આર પ્રક્રિયા બાદ ઘટીને હવે ૨૦,૫૫,૩૫૭ થયા છે.
વિશેષમાં પ્રાપ્ત વિગતો અનુસાર, નો મેપિંગ કેટેગરી હેઠળના કુલ ૨,૨૫,૩૨૯ મતદારોને નોટિસ આપવામાં આવશે અને નોટિસ બજવણી સહિતની કામગીરી માટે રાજકોટ શહેરમાં ૮૦૦ અને જિલ્લામાં ૨૨૫૬ કર્મચારીના હુકમ કરવામાં આવ્યા છે. આ કામગીરી અંતર્ગત દરરોજ ૫૦ ૫૦ મતદારોને બીએલઓ ઉપરાંત મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર કક્ષાના સક્ષમ અધિકારીઓ નોટિસધારકોને સાંભળી હિયરિંગ કરશે તેમ જાણવા મળે છે.
રાજકોટ શહેર જિલ્લાની આજે પ્રસિધ્ધ થયેલી પ્રાથમિક મતદાર યાદીના ડ્રાફ્ટમાં જે નાગરિકોના નામ આજે પ્રસિધ્ધ થયેલી યાદીમાં નથી અથવા કોઈ ભૂલ છે, તેઓ જરૂરી પુરાવા સાથે ફોર્મ-૬ ભરી શકશે. રાજકોટ શહેર અને જિલ્લાના મતદારો પોતાનું નામ http://rajkot.nic.in અથવા rajkot.gujarat.gov.in પર ઓનલાઈન ચેક કરી શકશે.
