લોક કલાકાર દેવાયત ખવડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાંચ મહિના બાદ દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયુ છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો હતો. 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે બબાલ શરૂ થઈ હતી. દેવાયત ખવડની કારના કાચ ફોડવામાં આવ્યા હતા. ત્યારબાદ સનાથલના ધ્રુવરાજસિંહ પર ગીરમાં 12 ઓગસ્ટે હુમલો થયો હતો. ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ હતી. જોકે, આજે(28 ડિસેમ્બર) બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો હતો.
તાજેતરમાં દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ પરિવારના સભ્યો એકસાથે જોવા મળ્યા હતા. ભગવતસિંહ ચૌહાણ અને ધ્રુવરાજસિંહ ની ઉપસ્થિતિમાં ખવડે સામે ચાલીને સંબંધો સુધાર્યા હતા. બંને પક્ષે એકબીજાને મીઠાઈ ખવડાવીને દુશ્મનાવટ પૂરી કરી હતી અને વિવાદનો શાંતિપૂર્ણ રીતે અંત આવ્યો હતો. લગભગ 5 મહિના સુધી ચાલેલા સંઘર્ષ, કાયદાકીય લડત અને જેલવાસ બાદ હવે બંને પક્ષોએ સમજદારી દાખવી છે. આ સમાધાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને પક્ષો હળવાશભર્યા મૂડમાં જોવા મળી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો
દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હીચકારો હુમલો કર્યો હતો અને બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં દેવાયત ખવડ અને તેના માણસો જેમાં સવાર હતા એ ફોર્ચ્યુનર અને ક્રેટા કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયાને કારને પાંચ વખત ટક્કર મારી હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર મારી પગ ભાંગી નાખ્યો હતો. નોંધનીય છે કે બંને વચ્ચે 6 મહિના પહેલા અમદાવાદના સનાથલમાં ડાયરાના કાર્યક્રમમાં ન આવવા બદલ બંને વચ્ચે ઝઘડો થતા સામસામી ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં દેવાયત ખવડ અને અન્ય 15 લોકો સામે મોડી રાત્રિ ફરિયાદ નોંધાઈ હતી. ગીર સોમનાથના SP મનોજસિંહ જાડેજા પણ તાલાલા દોડી આવ્યા હતા.
સ્ટેટ્સ જોઈ રેકી કરી
અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રોડ ગામે આવેલા ક્રિષ્ના રિસોર્ટમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. એને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી હતી.
18 સપ્ટેમ્બર 2025ના રોજ તાલાલા પોલીસ કેસમાં આરોપી દેવાયત ખવડ અને તેના સાથીઓને જેલમાંથી મુક્તિ મળી હતી. વેરાવળ કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે જામીન આપવાની સાથે કેટલીક શરતો મૂકી છે. જેમાં આરોપીઓએ દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવા સૂચન કર્યુ હતું.