ભારત દ્વારા વારંવાર વાંધો ઉઠાવવા છતાં, રશિયન સેનામાં ભારતીયોની ભરતી બંધ થઈ નથી. અહેવાલો દર્શાવે છે કે ઓછામાં ઓછા 44 ભારતીયો હજુ પણ રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે. ભારત સરકારે રશિયાને તાત્કાલિક તેમને મુક્ત કરવા વિનંતી કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે મોસ્કો સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને ભારતીયોને રશિયન સેનામાં ભરતી કરવાનું બંધ કરવા વિનંતી કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, છેલ્લા કેટલાક મહિનામાં, અમને ઘણા ભારતીય નાગરિકો રશિયન સેનામાં જોડાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તેમણે તેમના સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં કહ્યું, અમારી માહિતી અનુસાર, 44 ભારતીય નાગરિકો હાલમાં રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે. ભારતીય અધિકારીઓએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે 27 ભારતીયો રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે.
જયસ્વાલે કહ્યું કે ભારતે રશિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને તેમને "શક્ય તેટલી વહેલી તકે ભારતીયોને મુક્ત કરવા અને આ પ્રથા બંધ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, અમે રશિયન પક્ષ સાથે સંપર્કમાં છીએ. અમે આ વ્યક્તિઓના પરિવારો સાથે પણ સંપર્કમાં છીએ અને તેમને આ બાબતની જાણ કરી રહ્યા છીએ.
એવા અહેવાલો આવ્યા છે કે વિદ્યાર્થી અને વ્યવસાયિક વિઝા પર કેટલાક ભારતીયોને યુક્રેનમાં યુદ્ધની મોરચા પર તૈનાત રશિયન લશ્કરી એકમોમાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું છે. ભારતે વારંવાર રશિયાને વિનંતી કરી છે કે રશિયન લશ્કરી એકમોમાં રસોઈયા અને મદદગાર જેવા સહાયક સ્ટાફ તરીકે કાર્યરત તમામ ભારતીયોને મુક્ત કરવામાં આવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે રશિયાની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જયસ્વાલે ભારતીયોને રશિયન લશ્કરમાં સેવા આપવાની ઓફરોથી દૂર રહેવા વિનંતી કરી હતી, કારણ કે આ જીવન માટે જોખમી છે. તેમણે કહ્યું, અમે આ ઘણી વાર કહ્યું છે. અમારા વારંવાર યાદ અપાવવા છતાં, હજુ પણ લોકોની ભરતી કરવામાં આવી રહી છે. જો કોઈ આમ કરવા માંગે છે, તો અમે તેમને રોકી શકતા નથી, પરંતુ અમે ભારપૂર્વક જણાવીશું કે આ નોકરીઓ માટે અરજી કરતી વખતે તમારે આ જોખમોથી વાકેફ રહેવું જોઈએ.
સત્તાવાર આંકડાઓ અનુસાર, રશિયન લશ્કર દ્વારા ભરતી કરાયેલા ભારતીયોની સંખ્યા હવે લગભગ 170 છે. રશિયન અધિકારીઓએ 96 લોકોને મુક્ત કર્યા છે, જ્યારે 16 અન્ય ગુમ જાહેર કરવામાં આવ્યા છે. યુક્રેનમાં સંઘર્ષની મોરચા પર લડતા ઓછામાં ઓછા 12 ભારતીયો માર્યા ગયા છે.