રાજકોટમાં સોરઠ, ગીર સોમનાથ અને પોરબંદર પંથકના રેલીયાત્રીઓ માટે મહત્વના ટ્રાન્ઝિટ પોઇન્ટ તરીકે જાણીતા ભક્તિનગર રેલ્વે સ્ટેશનનો 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ, ભક્તિનગર સ્ટેશનના વ્યાપક કાયાકલ્પ પ્રોજેક્ટમાં રૂ. ૨૬. ૮૦કરોડના ખર્ચે માળખાગત સુવિધાઓને મજબૂત કરવાની દિશામાં એક મહત્વની સિદ્ધિ હાંસલ કરવામાં આવી રહી છે. રાજકોટ સૌરાષ્ટ્રના પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્રમાં સ્થિત હોવાને કારણે આ સ્ટેશન આ વિસ્તારની આર્થિક અને સામાજિક જીવાદોરી સમાન માનવામાં આવે છે.
ભક્તિનગર સ્ટેશનની કાયાકલ્પના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કુલ ₹ 26.80 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સ્ટેશન વિકાસમાં ₹ 11.81 કરોડ અને ફૂટ ઓવર બ્રિજ માટે ₹ 14.99 કરોડ ખર્ચાઈ રહ્યા છે.
દરરોજ સરેરાશ 4,700 મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્ટેશનનું આધુનિકીકરણ મુસાફરો માટે વિશ્વસ્તરીય પ્રવાસનો અનુભવ સુનિશ્ચિત કરશે. બહેતર પરિવહન સુવિધાઓને કારણે સ્થાનિક અર્થતંત્રને પણ નવી ઊર્જા મળશે.
ભક્તિનગર સ્ટેશનની કાયાકલ્પના પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં પૂર્ણ થયેલ કાર્યોમાં પ્લેટફોર્મ અપગ્રેડેશનમાં પ્લેટફોર્મ નંબર 1 પર કોટા સ્ટોન ફ્લોરિંગ અને પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 પર વધારાના નવા કવર શેડ લગાવવામાં આવ્યા છે.
8,600 ચોરસ ફૂટમાં સ્ટેશન બિલ્ડિંગનું અપગ્રેડેશન અને 2,760 ચોરસ ફૂટનો વિશાળ કોનકોર્સ હોલનીવિશાળ માળખાગત સુવિધા ઉપરાંત એલ્યુમિનિયમ કમ્પોઝિટ પેનલ (એસીપી) ક્લેડિંગ સાથે સ્ટેશન બિલ્ડિંગને નવો લુક આપવામાં આવી રહ્યો છે. સાથે જ સરળ ટ્રાફિક માટે અલગ-અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર બનાવવામાં આવ્યા છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ વાતાનુકૂલિત (AC) વેઇટિંગ રૂમ, આધુનિક વીઆઇપી રૂમ અને અદ્યતન સ્વચ્છતા સુવિધાઓ આપવામાં આવી છે.
વિશાળ રેલવે સ્ટેશન સંકુલમાં મુસાફરો માટે 25,685 ચોરસ ફૂટમાં વિસ્તૃત ગાર્ડન અને સર્ક્યુલેટિંગ એરિયામાં ટેન્સાઈલ રૂફ પોર્ચનું નિર્માણ. ફોર-વ્હીલર, ટુ-વ્હીલર અને દિવ્યાંગ મુસાફરો માટે બહેતર પાર્કિંગ વ્યવસ્થા.
તેમજ આધુનિક સાઈનેજ અને વે-ફાઈન્ડિંગ સિસ્ટમ, બહેતર લાઈટિંગ અને વેન્ટિલેશનની વ્યવસ્થા, મહિલા અને પુરુષ મુસાફરો તેમજ દિવ્યાંગજન- અનુકૂળ સુવિધાઓ ધરાવતા આધુનિક મોડ્યુલર શૌચાલયો, અવિરત પાણી પુરવઠા માટે 1 લાખ લિટરની ક્ષમતાનો અંડરગ્રાઉન્ડ વોટર સંપ અને 50,000 લિટરની ઓવરહેડ RCC ટાંકી વગેરેનો સમાવેશ થાય છે.
ભક્તિનગર સ્ટેશન પર હાલમાં ચાલી રહેલા કાર્યોમાં રાજકોટ સાઇડ12 મીટર પહોળો મુખ્ય ફૂટ ઓવરબ્રિજ (એફઓબી) નિર્માણાધીન છે, જે 4 આધુનિક લિફ્ટથી સજ્જ હશે. બીજો વેરાવળ સાઈડ 3.66 મીટર પહોળો વધારાનો ફૂટ ઓવર બ્રિજ નિર્માણાધીન છે, જે 2 આધુનિક લિફ્ટથી સજ્જ હશે.
આ તકે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા મુજબ, 26.80 કરોડના ખર્ચે કાયાકલ્પ થયેલું રાજકોટનું ભક્તિનગર સ્ટેશન શહેર અને સૌરાષ્ટ્ર વિસ્તારના સામાજિક આર્થિક વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે અને વધુમાં વધુ લોકોને રેલવે પ્રવાસ માટે પ્રોત્સાહિત કરશે.