હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, જામનગર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ૨૬ જાન્યુઆરી-પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભવ્ય અને ગૌરવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ભારતીય સેનામાં ફરજ બજાવતા લાન્સ હવાલદાર દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી અદમ્ય વીરતા દાખવવા બદલ આર્મી 3 નિમિત્તે જયપુર ખાતે સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની આ સિદ્ધિથી જામનગર, હાલાર પ્રદેશ તેમજ સમગ્ર દેશને ગૌરવ પ્રાપ્ત થયું છે. આ અનુસંધાને હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા તેમનું ગૌરવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વીર શહીદ હરીલાલ મેઘજીભાઈ મકવાણા, વીર શહીદ અશોકસિંહ ગોવુભા જાડેજા, વીર શહીદ રમેશભાઈ વિક્રમભાઈ જોગલ તથા વીર શહીદ મોહનભાઈ મથુરભાઈ ડાભીના પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમજ સેના મેડલ વિજેતા દિનેશભાઈ લગારીયાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. સાથે જ શહીદ વીર સપૂતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિરૂપે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે, ચેરમેન નિલેશભાઈ કાગથરા, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન શિક્ષણ સમિતિ ચેરમેન પરષોતમભાઈ કકનાની ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશભાઈ જાની સહિતના મહાનુભાવોએ રીત પરેડ કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માજી સૈનિકો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વીર શહીદ પરિવારોનું શાલ, ફૂલહાર તથા સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સેના મેડલ પ્રાપ્ત કરનાર વીર જવાનનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ, ગૌરવ અને સંવેદનાથી પરિપૂર્ણ રાહ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.