અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષને આજે ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ચૂક્યો છે. આ યુદ્ધ હવે માત્ર પ્રાદેશિક ન રહેતા વૈશ્વિક ઈંધણ સંકટમાં ફેરવાઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રશિયાએ ભારતની પ્રભાવશાળી વૈશ્વિક છબીને સ્વીકારીને આ વિવાદમાં મધ્યસ્થી કરવા માટે ખુલ્લી અપીલ કરી છે.
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાને કારણે સર્જાયેલી અસ્થિરતાને રોકવા માટે ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રશિયાનું માનવું છે કે ભારત જેવી તટસ્થ અને શક્તિશાળી લોકશાહી જ બંને પક્ષો વચ્ચે વાતચીતનો માર્ગ ખોલી શકે છે. નોંધનીય છે કે, ભારતે યુદ્ધની શરૂઆતથી જ હિંસાનો ત્યાગ કરી રાજદ્વારી ચર્ચા દ્વારા ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે.
યુદ્ધના મેદાનમાં સ્થિતિ વધુ વણસી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈઝરાયેલી સેનાએ બુધવારે ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ 'સાઉથ પાર્સ' પર ભીષણ હુમલો કર્યો છે. આ અગાઉ ઈરાનના મુખ્ય તેલ ભંડાર ગણાતા ખાર્ગ દ્વીપને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલાઓની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર પર જોવા મળી છે. કાચા તેલની કિંમતોમાં 6.3 ટકાનો તોતિંગ વધારો થયો છે, જે હવે 109.95 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. યુરોપમાં ગેસના ભાવમાં એકાએક 9.3 ટકાની તેજી જોવા મળી છે.
ભારત તેની જરૂરિયાતનું લગભગ 88 ટકા ક્રૂડ ઓઇલ અને 60 ટકા એલપીજી આયાત કરે છે, જેમાંથી મોટો હિસ્સો અખાતી દેશોમાંથી આવે છે. હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી થવાને કારણે પુરવઠા સાંકળ ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે. જોકે, ભારતે રશિયા પાસેથી તેલની આયાત વધારીને પોતાની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે, જે હાલમાં ભારત માટે 'લાઈફલાઈન' સાબિત થઈ રહી છે.
બીજી તરફ, અમેરિકન મીડિયા એવો દાવો કરી રહ્યું છે કે રશિયા ગુપ્ત રીતે ઈરાનને સેટેલાઇટ ડેટા અને અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા મદદ કરી રહ્યું છે. જો આ દાવો સાચો સાબિત થાય, તો આ યુદ્ધ વધુ લાંબુ ખેંચાઈ શકે છે અને તેમાં રશિયા-અમેરિકા સીધી રીતે આમને-સામને આવી શકે છે, જે ત્રીજા વિશ્વયુદ્ધ જેવી ભયાનક સ્થિતિ સર્જી શકે છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર ભારત પર ટકેલી છે કે શું વડાપ્રધાન મોદી આ વૈશ્વિક તણાવને ઓછો કરવામાં સફળ રહેશે?