૧૨૦ કિમી/કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ યોજાયું, ટૂંક સમયમાં ઝડપી અને સુગમ રેલ પરિવહન શરૂ થશે
પશ્ચિમ રેલવે દ્વારા રેલ સુરક્ષા અને સંચાલન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરતા, રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ હેઠળ જામનગર–લાખાબાવલ (આશરે ૧૦ કિમી) રેલખંડ વચ્ચે નવનિર્મિત અપ મેઈન લાઈન અને ડાઉન મેઈન લાઈનનું સુરક્ષા નિરીક્ષણ આજે રેલ સુરક્ષા કમિશનર (Commissioner of Railway Safety) ઈ. શ્રીનિવાસ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ) પ્રદીપ ગુપ્તા, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના સહિત બાંધકામ સંગઠન અને ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરક્ષા નિરીક્ષણ દરમિયાન નવી રેલ લાઈનોની સુરક્ષા, સ્થિરતા અને ટેકનિકલ ધોરણોનું પરીક્ષણ કરવા માટે અપ અને ડાઉન બંને લાઈનો પર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોટર ટ્રોલી દ્વારા પણ વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવી લાઈન પર સુરક્ષિત અને વધુ ઝડપથી ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવાની દિશામાં આ પરીક્ષણ એક મહત્વપૂર્ણ તબક્કો છે.

સુરક્ષા નિરીક્ષણના સફળ સમાપન બાદ, આ સેક્શનમાં નિયમિત રેલ સેવાઓનું સંચાલન બંને લાઈનો પર ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શરૂ થવાની શક્યતા છે. આનાથી રેલ સંચાલન વધુ સુગમ, સુરક્ષિત અને અસરકારક બનશે તથા મુસાફરોને વધુ સારી અને ઝડપી મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પેસેન્જર અને માલગાડીઓના સંચાલનની લાઈન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઔદ્યોગિક, વ્યાપારી અને પ્રવાસન પ્રવૃત્તિઓને નવી ગતિ મળવાની અપેક્ષા છે.
બાંધકામ સંગઠન અને રાજકોટ ડિવિઝનની ટીમોના સમર્પિત, સમન્વિત અને અથાક પ્રયાસોથી આ મહત્વપૂર્ણ સિદ્ધિ શક્ય બની છે....