રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે મુંબઈમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં સલમાન ખાનની સાથે જાણીતા ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ અને ગીતકાર પ્રસૂન જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. મંચની સામે બેસીને આ દિગ્ગજોએ સંઘ પ્રમુખ મોહન ભાગવતનું ઉદબોધન સાંભળ્યું હતું, જેમાં તેમણે સંઘ, રાજનીતિ અને ધર્મ નિરપેક્ષતા પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા.
ભાજપ અને RSS વચ્ચેના સંબંધ પર મોટી સ્પષ્ટતા
ઘણીવાર વિરોધ પક્ષો અને સામાન્ય લોકોમાં એવી ચર્ચા રહેતી હોય છે કે ભાજપ અને સંઘ એક જ સિક્કાની બે બાજુ છે, પરંતુ મોહન ભાગવતે આ કાર્યક્રમમાં આ વાત પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
ભાગવતે કહ્યું કે, "ઘણા લોકો એવું માને છે કે નરેન્દ્ર મોદી RSS ને કારણે વડાપ્રધાન છે. તે એક રાજકીય પક્ષ ચલાવે છે, પરંતુ ભાજપ એક સંપૂર્ણપણે અલગ સંસ્થા છે. તે RSS ની નથી. તેમણે ઉમેર્યું કે ભાજપમાં સંઘના સ્વયંસેવકો ચોક્કસપણે સક્રિય છે, પરંતુ સંઘ સીધી રીતે રાજનીતિમાં સામેલ નથી કે તેને સત્તા અથવા પાવરની કોઈ ઈચ્છા નથી.