રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૩ની બરાબર વચ્ચે આવેલા જામનગર રોડ ઉપરના સાંઢીયા પુલનું ૮૦ ટકા પૂર્ણ થઈ ગયું છે પરંતુ રેલવે ટ્રેક ઉપરના હિસ્સામાં ગર્ડર ચડાવવાની મંજૂરી રેલવેમાં વિલંબિત થવાના કારણે હાલ પુલનું કામ અટકી પડ્યું છે જે ટૂંક સમયમાં ફરી શરૂ થશે અને મહાપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે મતલબ કે આગામી એપ્રિલ માસ સુધીમાં પુલ ખુલો મુકાય તેવી પૂરી શક્યતા છે.
સાંઢીયા પુલનું કામ પૂર્ણ થવાને આરે પહોંચતા હવે એરપોર્ટ રોડ, ભોમેશ્વર પ્લોટ, બજરંગવાડી, પરસાણાનગર, રેલનગર, એકજાન નગર, ગાંધી સોસાયટી, માધાપર ચોકડી સહિતના વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો અંત નજીકમાં છે. આ ઉપરાંત નવા પુલ નીચેથી ભોમેશ્વર પ્લોટથી સીધું પરસાણાનગરમાં નિકળી શકાય તેવો નવો રોડ પણ ઉપલબ્ધ થશે.
પચાસ વર્ષથી વધુ જૂના સાંઢીયા પુલને તોડી તેના સ્થાને મહાપાલિકા દ્વારા ૭૪ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા ફોર લેન ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટમાં હવે બરાબર રેલવે ટ્રેક ઉપરના હિસ્સામાં ગર્ડર મુકવાનું કામ બાકી છે અને તે માટે ટ્રેન પસાર થતી ન હોય તેવો સમય મેળવવાનો રહે જેને રેલવેની ભાષામાં બ્લોક કહેવામાં આવે છે. આ બ્લોક મેળવવા મનપા દ્વારા સમયસર નહીં પરંતુ વહેલાસર જુલાઈ ૨૦૨૫થી માંગણી રજૂ કરાઇ હતી પરંતુ રેલવેમાંથી મંજૂરી આવી ન હોય અહીં કામ અટક્યું છે.
રેલવે ટ્રેકની ઉપર ગર્ડર મૂકતા પૂર્વે રેલવે તંત્ર સમક્ષ ગર્ડર લોન્ચિંગ સ્કિમ એપ્રુવલ માટે મોકલવાની હોય છે, જેમાં ક્યાં આગળ ક્રેઇન ઊભી રાખવામાં આવશે અને ક્યાંથી કઈ રીતે ગર્ડર લોન્ચ થશે તેનું સમગ્ર પ્લાનિંગ આપવાનું હોય છે.રેલવે ટ્રેક ઉપર કુલ છ ગર્ડર ચડાવવાના છે અને દરેક ગર્ડરના લોન્ચિંગમાં બે કલાક જેવો સમય લાગે છે અને છ ગર્ડર લોન્ચ કરવામાં કુલ ૧૨ કલાકનો સમય લાગે. ટ્રેન પસાર થતી ન હોય તેવા સમયે જ આ કામ થઇ શકે અને તેવો સમય મતલબ કે બ્લોક આપવામાં રેલવે તરફથી વિલંબ થઇ રહ્યો છે. આ કામે એક સાથે ૧૨ કલાકનો સમય ન મળે તેથી સમયાંતરે બે થી ત્રણ કલાકનો સમય અપાય તો ચાર તબક્કામાં એક મહિનામાં આ કામ પૂર્ણ થશે. દરમિયાન હવે એકાદ સપ્તાહમાં આ મંજૂરી મળી જાય તેવા નિર્દેશ મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાંઢીયા પુલના પ્રોજેક્ટની માર્ચ ૨૦૨૪માં ખાતમુહૂર્ત કરાયું હતું અને ટેન્ડરની શરતો મુજબ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમય મર્યાદા સપ્ટેમ્બર ૨૦૨૬ છે પરંતુ કામ ઝડપથી થયું હોય હાલ ૮૦ ટકા વર્ક પ્રોગ્રેસ છે. જો રેલવેની મંજૂરી એકાદ મહિનામાં આવી જશે તો એપ્રિલ માસમાં કામ પૂર્ણ થઇ જશે.
કમિશનર દ્વારા ડેઇલી પ્રોજેક્ટ ફોલોઅપ ધારાસભ્યો, સાંસદો રસ દાખવશે ખરા?
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આ પુલ બંધ હોવાને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા બરાબર જાણી ગયા હોય આ પ્રોજેક્ટ જાણે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હોય તેમ ડેઇલી ફોલો અપ લેવાનું શરૂ કર્યું છે, રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સાથે નિયમિત વાતચીત કરી રહ્યા છે પરંતુ રેલવે તંત્રમાંથી યોગ્ય પ્રતિસાદ મળતો નથી. જો રાજકોટના ધારાસભ્યો અને સાંસદો રસ દાખવે તો આ પ્રોજેક્ટ વ્હેલાસર પૂર્ણ થાય તેમ છે.