જામનગરના ૬૬ ગામોને રૂ.૩૪.૫૧ લાખથી વધુનું પાણી વેરા પ્રોત્સાહન અપાયું
જામનગર તા.૧૫ ડિસેમ્બર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૬૪મી બેઠક જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન, ગ્રામીણ જળ વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મહત્વપૂર્ણ નાણાકીય ફાળવણી અને યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી.
વાસ્મો દ્વારા સંચાલિત પાણી વેરા પ્રોત્સાહન યોજના અંતર્ગત જામનગર જિલ્લાના કુલ ૬૬ ગામોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા પંચાયત જામનગરને રૂપિયા ૩૪,૫૧,૫૬૭/- ની કુલ રકમ ફાળવવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. આ રકમમાં ૬૬ ગામોને મુખ્ય પ્રોત્સાહન સ્વરૂપે રૂ. ૩૩,૦૭,૯૯૩/, સુધાઘુના સેવા સહકારી મંડળીને રૂ. ૩૦,૦૦૦/, તેમજ લગત ગામના VCE ને રૂ. ૧,૧૩,૫૭૪/ નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બેઠકમાં જિલ્લાના જળ સ્ત્રોતોની લાંબા ગાળાની જાળવણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે જામનગર જિલ્લાનો સોર્સ સસ્ટેનેબિલિટી પ્લાન પણ મંજૂર કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, વાસ્મોના અધિકારીઓ સહિત સંબંધિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.