સિંધી અને શીખધર્મના પૂજનીય પ્રથમ ધર્મગુરૂ ગુરૂનાનક દેવ મહારાજનો જન્મ કારતક સુદ પૂનમને ઈ.સ.૧૯૬૯માં લાહોર જિલ્લાના તલવંડી ગામે થયો હતો. તેમના પિતા કાલુરાય અને માતા તૃપ્તાદેવી તેમજ બહેનનું નામ નાનકી હતું.
જન્મદિન સમયે જ દાઈમાં દોલત ખાને ચારો દિશાઓમાં વિચિત્ર પ્રકાશ સાથે બાળકનું તેજસ્વી મુખ જોઈને અહેસાસ અનુભવ્યો કે, આ બાળક સાક્ષાત ઈશ્ર્વરી શક્તિનો અવતાર છે. બરાબર છઠ્ઠા દિવસે નાનક નામકરણ વખતે તેમના જયોતિષ પંડિત હરદયાલે તેમની મહાનતા વિશે ભવિષ્યવાણી કરી હતી.
નાનકને પાંચ વર્ષની ઉમરે પિતા કાલુરાયે અભ્યાસ માટે પંડિત પાસે મોકલ્યા હતાં. પ્રથમ વખત પંડિતે આ બાળકને એકથી દસ એકડા લખવાનું કહ્યું હતું ત્યારે નાનકે ફકત એકડો લખીને પંડિતને પ્રશ્ર્ન કર્યો કે આ એક શું છે...? આથી પંડિત પણ નાનકને એકડાનો અર્થ સમજાવી શકયા ન હતાં. ત્યારે નાનક કહે છે કે, આ તકે મતલબ ઈશ્ર્વર એક છે તેને એક ‘ઓમકાર’ પણ કહેવાય છે.
જો કે નાનકને ભણવાની કોઈ ઈચ્છા નહોતી પરંતુ પિતા કાલુરાયની આજ્ઞાનુસાર નાનકે ગોપાલ પંડિતને ત્યાં હિન્દી ભાષા અને વ્રજલાલ પંડિત પાસે સંસ્કૃત તેમજ મોલવી કુતબુદિનની પાસે ફારસી ભાષાનું અભ્યાસ પણ મેળવ્યું હતું
નાનપણમાં નાનકને પિતાએ ખેતર સાચવવા મોકલ્યા હતા. ખેતરમાં ચણતા પક્ષીઓને જોઇ તેમણે ગાયું કે, રામ કી ચિડિયા, રામ કા ખેત, ખાલો ચિડિયા, ભરભર પેટ.
ચણતા પક્ષીઓને જોઇ તેઓ ખુબ જ ખુશ થતાં પરંતુ તેના પિતા નારાજ હતા.
ગુનાનક બચપણથી જ દયાળુ અને ઉદાર હતા. તેઓ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવડાવતા હતા. આ ઉપરાંત તેઓ વધુ સમય સાધુ-સંતો સાથે રહીને ભજન-કીર્તન કરતા અને તેઓની સાથે ભોજન કરવાનું નાનકને વધુ આનંદ મળતો હતો.
એક વખત તેઓના પિતા કાલુરાયે નાનકને વેપાર-ધંધો કરવા માટે ૨૦ રૂપિયા આપ્યા હતા પરંતુ નાનકે આ રકમ ભૂખ્યા સાધુ-સંતોને ભોજન કરાવવામાં ખર્ચ કર્યા હતા. આ વાતની જાણ તેમના પિતાને થતાં તેઓ નાનક પર ગુસ્સે થયા હતા. ભવિષ્યમાં પુત્ર નાનક કોઇ વેપાર-ધંધામાં આગળ આવે તેથી પિતા કાલુરાયે નાનકને સુલતાનપુર ખાતે તેમની મોટીબહેન નાનકીદેવી પાસે મોકલ્યા હતા તેથી તેમના બનેવીએ નાનકને નવાબ દોલતખાન લોધીના મોદીખાનામાં નોકરી અપાવી હતી. જો કે નાનક મોદીની દુકાનમાં નોકરી કરતા પરંતુ એમનું મન તો સદાય ઇશ્ર્વર ભક્તિમાં રહેતું હતું. ઘણી વખત તેઓ ગ્રાહક પ્રેમીઓને વિનામૂલ્યે અનાજ આપતી વખતે તેરા-તેરાની ગણતરી કરીને કહે તા કે (તેરા તુજકો અર્પણ કયા લાગે મેરા) આ પ્રકાર અવાર-નવાર નાનક ગ્રાહકને રાશન મફતમાં આપતા હોવાની ફરિયાદ તેમના વિરોધીઓએ નવાબ દોલતખાન લોધીને કરી હતી તેથી ઘણીવાર નવાબ દોલતખાન તપાસ કરતા ત્યારે બધું બરાબર જણાતું હતું. પરંતુ નાનકને માઠુ લાગતું તેથી તેઓ ઝાઝા વખત નોકરી કરી શકયા ન હતા.
નાનકને સંસાર ચક્રમાં બાંધવા તેમના લગ્ન ભાઈમુલચંદની સુપુત્રી સુલક્ષણાદેવી સાથે કરાવવામાં આવ્યા હતા તેથી તેમને સંતાનમાં બાબા શ્રીચંદ અને બાબા લક્ષ્મીચંદ જન્મ્યા હતા. ગુરૂનાનકે ઈશ્ર્વર સાથે પ્રીત બાંધી હતી. તેઓ હંમેશા હરિચિંતનમાં મગ્ન રહેતા હતા. સુલતાનપુર ખાતે તેઓ વહેલી સવારે નદીમાં સ્નાન કરીને એકાંતમાં એક બોરડીના ઝાડ નીચે બેસીને પ્રભુનું સ્મરણ પણ કરતાં હતા. આ ઉપરાંત તેઓ લોકોને એકત્ર કરીને ભજન-કીર્તન યોજતા હતા. તેના બે શિષ્ય મર્દાના અને બાલારામ તેમની સાથે જ રહેતા.ગુનાનકની દિવ્યવાણી અને તેમના દ્વારા યોજાયેલ ભક્તિ-સત્સંગમાં દૂર-દૂરથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હતા.
જગતમાં અજ્ઞાન, અંધકાર, હિંસા, અર્ધમ, છલકપટ અને અશાંતિને દૂર કરવા તથા હિન્દુ-મુસ્લિમ એકતા સહિત લોકોને સત્ય અને શાંતિનો શ્રેષ્ઠ માર્ગ દર્શાવવા ગુરૂનાનકે ઘરસંસારનો ત્યાગ કરીને દેશ-વિદેશ અને ગામે-ગામ યાત્રાનો આરંભ કર્યો હતો ત્યારે તેમની અનેકવાર કસોટી પણ થઈ, સારા-નરસા માણસો પણ મળ્યા હતા. પરંતુ ગુરૂનાનકના પ્રેમભર્યા વ્યવહાર અને પ્રભુભક્તિને કારણે હિન્દુ અને મુસ્લિમો તેમના શિષ્યો બન્યા હતા.
ગુનાનક ઈશ્ર્વરને સર્વવ્યાપી માનતા હતા. એક માણસ જંગલમાં કોઈ ન જુએ ત્યાં કબૂતરનો વધ કરવા જઈ રહ્યો હતો ત્યારે ગુરૂનાનકે તેને સમજાવતા કહ્યું કે, ભલે કોઈ મનુષ્ય ન જુએ પરંતુ ઈશ્ર્વર તો બધે જ છે. તેનાથી કોઈ પાપ છુપો રહેતો નથી. આ વાત સંભળીને પહેલા વ્યક્તિએ કબૂતરને આઝાદ છોડી દીધો અને તેને પોતાની ભુલ સમજાઈ હતી. વૃધ્ધાવસ્થામાં નાનક દેવ કુટુંબમાં આવીને રહ્યા હતા. એમણે કરતારપુર શહેર વસાવ્યું અને ગુરૂ ગાદીની સ્થાપના કરી હતી. વારસદાર તરીકે પોતાના પુત્રને બદલે અંગદ દેવ નામના શિષ્યને સ્થાપવાનું જાહેર કર્યું હતું.
કારણ કે ગુરૂનાનકના શિષ્ય અંગદ દેવ લોકોની સેવા કરવામાં રાજી હતા. એક વખત ગુરૂનાનકના શિષ્ય અંગદ દેવ સ્નાન કરીને સાફ કપડા પહેરીને આવ્યા, બરાબર એવાજ ટાણે ગુરૂનાનકે તેને ગૌશાળા સાફ કરવાનું કામ સોંપ્યું. આથી આજ્ઞાનું તુરંત પાલન કરવા શિષ્ય અંગદ દેવ ગૌશાળા સાફ કરવા માંડયા. છાણના ટોપલા માથે ઉપાડીને રસ્તામાં જઈ રહેલ પોતાના શિષ્ય અંગદ દેવને ગુરૂ નાનકે સામેથી ટોપલા ઉતરાવીને પોતાની પાઘડી અંગદ દેવના માથે મુકીને કહ્યું કે જે ગૌશાળાની ગંદગી ઉપાડવામાં રાજી છે તે મારા આટલા બધા શિષ્યોની જવાબદારી સંભાળી શકે છે માટે ગુરૂનાનકે તેમને વારસદાર તરીકે નીમ્યા હતા.અંતમાં ગુરૂનાનકે ૭૦ વર્ષની ઉંમરે દેહનો ત્યાગ કર્યો હતો.
ગુરૂનાનકના મૃતદેહને હિન્દુઓ અગ્નિ સંસ્કાર કરવા ઈચ્છતા હતા. બીજી તરફ મુસ્લિમો તેને દફનાવવા માગતા હતા. બન્ને વચ્ચે વિવાદ સર્જાયો હતો. બરાબર એવાજ ટાણે કોઈ વ્યક્તિએ તેના મૃતદેહ પરથી ચાદર હટાવી ત્યારે એક વિચિત્રતા જોવા મળી, ત્યાં તેમના મૃતદેહની જગ્યાએ ફુલોનો ઢગલો જોયો. બને પક્ષોને પોતાની ભૂલ સમજાઈ અને શાંતિ પૂર્વક ફૂલો અને ચાદરના બે સરખા ભાગ કરીને હિન્દુઓએ અગ્નિ સંસ્કાર કર્યો અને મુસલમાનોએ તેને દફનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુરૂનાનકે પોતાની દિવ્યવાણીનું પુસ્તક ‘પોથી પરમેશ્ર્વરની રચના કરી હતી. શિષ્ય અંગદ દેવને ગુરૂગાદી સોંપતી વખતે તે પુસ્તકને પણ તેને અર્પણ કર્યું હતું. કહેવાય છે કે, પાંચમા ગુરૂ અર્જુન દેવ મહારાજે ગુરૂગ્રંથ સાહેબનું નિર્માણ કરતી વખતે ગુરૂ નાનકની દિવ્ય વાણીનો ગુરૂગ્રંથ સાહેબમાં સમાવેશ કર્યો હતો. આજે વિશ્ર્વભરના શીખ ગુરૂદ્વારા સહિત સિંધી ગુરૂમંદિરોમાં ગુરૂગ્રંથ સાહેબ ઉપસ્થિત જોવા મળે છે.
-કિશોરભાઈ પી. છતલાણી