કલેક્ટર કચેરી ખાતે જામનગરના રોલ ઓબ્ઝર્વર અનુપમ આનંદે એસઆઇઆર અન્વયે જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રોલ ઓબ્ઝર્વરએ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તરફથી એસ.આઈ.આર અંતર્ગત ગણતરીના સમયગાળામાં મળેલા સહકાર અને સકારાત્મક પ્રતિભાવની સરાહના કરી હતી.
અનુપમ આનંદે પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ સૂચનો અને પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેના અનુસંધાનમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં તેમણે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ અને હક દાવા વાંધા અરજીઓ રજુ કરવાના સમયગાળા દરમિયાન પૂરતો સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે જિલ્લાના મતદાર નોંધણી અધિકારીઓને ખાસ સૂચના આપી હતી કે, ચૂંટણીલક્ષી કામગીરી એવી રીતે હાથ ધરવામાં આવે કે મતદાર બનવા માટે કોઈ લાયક ઉમેદવાર મતદારયાદીમાંથી વંચિત ન રહે.
આ પહેલા રોલ ઓર્બ્ઝવર અને પ્રભારી સચીવ દ્વારા એસઆઇઆર અન્વયે કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, મેપીંગની કામગીરી વધુમાં વધુ થાય તે માટે આયોજન કરવા, બુથ લેવલ ઓફીસરને આગામી સમયમાં કરવામાં થતી કામગીરી અંગે પણ તાલીમ આપવી અને આ કામગીરી ચોકકસાઇપૂર્વક અને નિયત સમય મર્યાદામાં પુરી થાય તે માટે સુચારૂ આયોજન કરવા સુચના અપાઇ હતી. નવા મતદારોના ફોર્મ નં.૬ ઝડપથી મળે તે માટે વિશેષ કેમ્પ કરવા પણ જણાવ્યું હતું. જામનગર કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા ચૂંટણીની જે કામગીરી કરવામાં આવી છે તે બદલ તેઓએ સંતોષ વ્યકત કર્યો હતો.