જામનગરમાં ફલાય ઓવરનું લોકાર્પણ કરવા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સોમવારે આવી રહયા છે, તેમના કાર્યક્રમના પગલે વહિવટી અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, આજરોજ કલેકટર, કમિશ્નર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રવાસ રૂટ અને કાર્યક્રમ સ્થળનું જાત નીરીક્ષણ કરી સુરક્ષા કાફલા દ્વારા રીહર્સલ કરવામાં આવ્યુ હતું, મુખ્યમંત્રીના કાર્યક્રમના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફલાય ઓવરનું લોકાર્પણ તેમજ અન્ય વિકાસના કાર્યો સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે, આ કાર્યક્રમમાં રાજયના ભુપેન્દ્રભાઇ પટેલ સોમવારે જામનગર આવશે ત્યારે વહિવટી અને પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. મુખ્યમંત્રીના એરપોર્ટ પર આગમનથી લઇ સાત રસ્તા બ્રીજ અને ધનવંતરી ઓડીટોરીયમ સભા સ્થળ ખાતે કાર્યક્રમો યોજવામાં આવશે ત્યારે સીએમના આગમન પુર્વે આજરોજ જીલ્લા કલેકટર કેતન ઠકકર, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી અને જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા અન્ય અધિકારીઓ દ્વારા પ્રવાસ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું અને આજરોજ રીહર્સલ સુરક્ષા કાફલા દ્વારા કરાયું હતું.
પોલીસ દ્વારા એરપોર્ટથી લઇને તમામ સ્થળે સુરક્ષા વ્યવસ્થા મજબુત બનાવવામાં આવી છે અને કાર્યક્રમ સ્થળે એસપી સહિતના અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહયો છે, આ માટે એસપી ઉપરાંત ડીવાયએસપી, જુદા જુદા ડીવીઝનના પીઆઇ, એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિતની ટુકડીઓ ઉપરાંત પોલીસ કર્મીઓ, હોમગાર્ડ જવાનો આ બંદોબસ્તમાં જોડાશે, સરુક્ષા વ્યવસ્થાને લઇને તમામ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.