રાજકોટ ખાતે તા. ૧૨ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાયું હતું. આ કોન્ફરન્સના બીજા દિવસે, એટલે કે ૧૨ જાન્યુઆરીના રોજ વિવિધ વિષયો ઉપરના બી.ટુ.બી. અને બી.ટુ.જી.ની સાથોસાથ ઇગ્નાઇટિંગ ધ ફ્યુચર: ગુજરાત માઈનિંગ રિવોલ્યુશનની થીમ ઉપર સેમિનાર યોજાયા હતા, જેમાં રાજ્યના જિયોલોજી એન્ડ માઈનિંગ વિભાગ દ્વારા ઉદ્યોગ સાહસિકો સાથે ગુજરાતમાં માઈનિંગ રિવોલ્યુશનના વિષય ઉપર પરિસંવાદ યોજાયો હતો.

આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની એલ.એન્ડ એસ. કંપની દ્વારા રૂ.૧૦૦ કરોડના એમઓયુ થયા હતા, જેના થકી ૧૦૦ જેટલા લોકોને રોજગારી મળી શકશે. જયારે ભાવનગર જિલ્લાના તળાજાના વિરેન્દ્રસિંહ સાવરિયા દ્વારા રૂ. ૬૦ કરોડના એમઓયુ કરાયેલ છે, જેમાં ૭૫ જેટલા લોકોને રોજગારી મળી શકશે.

આ પ્રસંગે, જી.એમ.ડી.સી.ના મેનેજિંગ ડાયરેકટર રૂપવતસિંધ (આઈ.એ.એસ.), ખાણ ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલ (આઈ.એ.એસ.)ની પ્રેરક ઉપસ્થિતિમાં જી.એસ.આઇ.ના ડાયરેકટર ડો. બિજયકુમાર દાસ, સિનિયર જીઓલોજીસ્ટ સુમિત ચૌહાણ, જી.એમ.ડી.સી.ના સિનિયર અધિકારી સ્વાગત રે, રજત દાસ, પ્રોપેલ ઇન્ડસ્ટ્રીઝના નિરવ નેવાસ્કર, પી.ડબલ્યુ.સી.ના એસોસિયેટ ડિરેકટર અભિનવ સેનગુપ્તા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ પરિસંવાદમાં માઇનીંગ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો દ્વારા મિનરલ એકસપ્લોરેશન, ક્રિટીકલ એન્ડ સ્ટ્રેટેજીક મિનરલ પોટેન્શિયાલીટી ઓફ ગુજરાત, મિનરલ પ્રોસેસીંગ વગેરે વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. જેમા આધુનિક ટેકનોલોજી, પ્રોડક્શન કઈ રીતે વધારવું, માઇનીંગ ઉધોગકારો માટે સરકારની પ્રોત્સાહક યોજના, માઇનીંગ ક્ષેત્રમાં તક અને ચેલેન્જ અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.

માઈનિંગ સેક્ટર માટે અતિમહત્વના કહી શકાય તેવા આ પ્રસંગે, ખાણ અને ખનીજ વિભાગ તરફથી એડિશનલ ડિરેક્ટર એસ. જે. ચાવડા, સિનિયર જીઓલોજિસ્ટ એન. એ. પટેલ, આસિસ્ટન્ટ જીઓલોજીસ્ટ ડૉ. પ્રતિક શાહ પણ હાજર રહ્યા હતા. સાથોસાથ ખૂબ જ મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોએ ઉપસ્થિત રહી આ પ્રસંગની શોભા વધારી પ્રસંગને સફળ બનાવ્યો હતો.
