અમેરિકી પ્રમુખ ટ્રમ્પના પગલે ચાલતા યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ લોક રોષનો ભોગ બન્યા છે અને તેમણે ઈમિગ્રેશન મુદે કરેલી ટીપ્પણીના પગલે ટ્રોલર્સની નારાજગી સહેવી પડી રહી છે, વાન્સ પર બેવડા ધોરણો અને વિદેશીઓ પ્રત્યેનો ડર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, અને હવે તેમની પત્નીને દેશનિકાલ કરવાની માંગણીઓ ઉભરી આવી છે.અહી જણાવી દઈએ કે જેડી વાન્સની પત્ની ઉષા વાન્સ ભારતીય મૂળની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાન્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી એક પોસ્ટથી વિવાદ શરૂ થયો હતો, જેમાં યુએસ ઉપરાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે મોટા પાયે સ્થળાંતર અમેરિકન કામદારો પાસેથી તકો છીનવી લે છે. વાન્સે સતત આવતા ઇમિગ્રન્ટ્સને અમેરિકન નોકરીની તકો માટે ખતરો ગણાવ્યો છે. જેના પગલે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સનો મારો ચાલ્યો છે અને જબરો હોબાળો મચી ગયો છે.અમુક યુઝર્સે તેમની પત્નીને ભારત પાછા મોકલવાની માંગ કરી છે. આ પહેલી વાર નથી જ્યારે વાન્સે ખુલ્લેઆમ સામૂહિક સ્થળાંતરને લક્ષ્ય બનાવ્યું હોય. તાજેતરમાં, ન્યૂ યોર્ક પોસ્ટ પોડકાસ્ટ પર, વાન્સે કહ્યું હતું કે અમેરિકનો માટે એવા પડોશીઓને પસંદ કરવું સંપૂર્ણપણે ઠીક અને સ્વીકાર્ય છે જેઓ તેમની જાતિ, ભાષા અથવા ત્વચાનો રંગ શેર કરે છે.વાન્સ, જે ઘણીવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પડઘો પાડે છે, તેમણે બાઈડેન વહીવટીતંત્રને એવી ઇમિગ્રેશન સિસ્ટમ માટે દોષી ઠેરવ્યું જે વિભાજનને પ્રોત્સાહન આપે છે.
પત્નીના ધર્મ પરની ટિપ્પણીએ વિવાદ ઉભો કર્યો
જ્યારે વાન્સને પોડકાસ્ટ પર પૂછવામાં આવ્યું કે શું ટ્રમ્પ વહીવટીતંત્રે બધા બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની યોજના બનાવી છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "અમે શક્ય તેટલા વધુને દેશનિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વાન્સે ગયા મહિને અગાઉ વિવાદ ઉભો કર્યો હતો જ્યારે તેમણે કહ્યું હતું કે તેમને આશા છે કે તેમની હિન્દુ પત્ની, ઉષા વાન્સ, એક દિવસ તેમના ખ્રિસ્તી ધર્મને અપનાવશે. જેડી વાન્સે કહ્યું હતું કે ઉષા તેમની સાથે ચર્ચમાં જાય છે અને તેમને ખરેખર આશા છે કે તે એક દિવસ ખ્રિસ્તી ધર્મ અપનાવી લેશે, જો કે બાદમાં, વિવાદ વધ્યા પછી, તેમણે સ્પષ્ટતા કરી કે ઉષાનો ધર્માંતરણ કરવાનો કોઈ ઈરાદો નથી અને તે તેની માન્યતાઓનો આદર કરે છે.