આજે સતત બીજા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. આઈટી શેરોમાં ભારે વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ 650 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 200 પોઈન્ટ ઘટ્યો. ધીમે ધીમે આ ઘટાડો વધ્યો. બીએસઈ સેન્સેક્સ 883.28 પોઈન્ટ અથવા 0.97 ટકા ઘટીને 82,791.64 પર ટ્રેડ કરી રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 282.85 પોઈન્ટ અથવા 1 ટકા ઘટીને 25,807.35 પર પહોંચ્યો. આ ઘટાડાને કારણે રોકાણકારોની નેટવર્થમાં રૂ. 4.62 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
આઈટી શેરોમાં સતત બીજા દિવસે તીવ્ર ઘટાડો જોવા મળ્યો. આઈટી ઇન્ડેક્સ શરૂઆતના ટ્રેડિંગમાં 5 ટકા ઘટ્યો. 30 માંથી 26 સેન્સેક્સ શેરોમાં ઘટાડો થયો. ઇન્ફોસિસ 5 ટકાથી વધુ ઘટ્યા હતા, જ્યારે ટીસીએસ અને એચસીએલ ટેક 4 ટકાથી વધુ ઘટ્યા હતા. આ દરમિયાન ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, એક્સિસ બેંક અને એસબીઆઈ બેંકમાં નજીવો ઉછાળો આવ્યો હતો.
બે દિવસમાં, રોકાણકારોએ દસ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
છેલ્લા બે દિવસમાં, રોકાણકારોએ બજારમાં લગભગ 10 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ગયા બુધવારે, જ્યારે શેરબજાર પોઝિટિવમાં બંધ થયું ત્યારે બીએસઈનું માર્કેટ કેપ 474 લાખ કરોડ રૂપિયા હતું, જે હવે ઘટીને 465 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
ગઈકાલે રાત્રે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડા બાદ રીકવરી
સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. ગઈકાલે મોડી રાત્રે, મલ્ટી-કોમોડિટી માર્કેટ પર ચાંદીના ભાવમાં રૂ. 26,000નો ઘટાડો થયો હતો જે આજે સવારે ૭૦૦૦ની રીકવરી સાથે રૂ. ૨,૪૩,૦૦૦ના સ્તરે પહોંચ્યો હતો. સોનાના ભાવમાં આશરે 6,500નો ઘટાડો થયો હતો જે આજે ૧૭૦૦ની રીકવરી બાદ ૧,૫૪,૦૦૦ ના સ્તરે પહોંચ્યો હતો