શહેરી વિકાસ વર્ષ, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તથા વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવાના હેતુથી સ્વદેશી મેળાનું આયોજન કરાયું : કમિશ્નર ડી.એન.મોદી
સરકાર દ્વારા સ્વદેશી મેળામાં સ્વ સહાય જૂથના પીએમજેવાય યોજનાના ૪૪,પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ દ્વારા ૨૪ ફૂડસ્ટોલ તથા હેન્ડીક્રાફ્ટ આઇટમના ૧૧ જેટલા સ્ટોલની વિનામૂલ્યે ફાળવણી કરાઈ
શોપિંગ ફેસ્ટિવલમાં દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામોનું પણ આયોજન

જામનગર તા.૧૦ ઓક્ટોબર, રાજય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટીફેક્ટસ, ક્રાફ્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ “વોકલ ફોર લોકલ” વિભાવનાને પ્રાધાન્ય આપવાના હેતુસર રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ) નું આજે તા.૧૦-૧૦-૨૦૨૫ થી તા.૧૭-૧૦-૨૦૨૫ સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જામનગર મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીના અધ્યક્ષ સ્થાને જામનગર મહાનગર પાલિકાના સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શોપીંગ ફેસ્ટીવલ દૈનિક સવારે ૧૦:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. સ્વદેશી મેળા માટે ૯૦ ફૂટ X ૧૯૫ ફૂટનો ડોમ તૈયાર કરાવવામાં આવેલ છે.સરકાર દ્વારા સ્વ-સહાય જૂથના જુદા-જુદા ૪૪ PMJY યોજના હેઠળના લાભાર્થીઓને તેમજ હેન્ડીક્રાફટ આઈટમના સ્ટોલ માટે ૧૧ લાભાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ ફાળવણી કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્વદેશી મેળાનો લાભ PM સ્વનીધી યોજનાના જુદા-જુદા ૨૪ લાભાર્થીઓને પણ લાભ મળે તે માટે સ્વદેશી મેળા સાથે ફૂડ સ્ટોલ પણ વિનામૂલ્યે ફાળવવામાં આવેલ છે.
શહેરના મહતમ નાગરિકોને વિકાસયાત્રામાં ભાગીદાર બનાવવા સ્વદેશી મેળા દરમ્યાન દૈનિક રાત્રે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાક સુધી જુદા-જુદા ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્વદેશી વસ્તુઓ તેમજ શોપિંગ ફેસ્ટીવલની મુલાકાત લેવા કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવી છે,

આ પત્રકાર પરિષદમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની અને પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા.