જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ છે અને સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ૬.૮૪ લાખનો મુદામાલ ઉસેડી ગયા છે, પોલીસમાં ફરીયાદ કરવામાં આવતા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. ચોરી પાછળ કોઇ જાણભેદુ હોવાની આશંકા દર્શાવીને આ દિશામાં પણ ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. દોઢ મહીના પુર્વે પણ આ જ મકાનમાંથી ચોરી થઇ હતી ફરી હાથ ફેરો થતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ દ્વારા નિવેદનો લેવા અને પુછપરછ સહિતની તપાસ ચાલી રહી છે.
જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા લોન ઇન્સ્યોરન્સનું કામ કરતા ચિંતન રમણીકભાઇ અજુડીયાએ ગઇકાલે શેઠવડાળા પોલીસમાં અજાણ્યા ઇસમો સામે ઘરમાંથી ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી ગત તા. ૪-૬-૨૫ના સમયગાળા દરમ્યાન બહાર ગયા હતા અને પાછળથી તેમના રહેણાંક મકાનમાં કોઇએ પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટમાં રાખેલ પર્સમાંથી પેન્ડલવાળો ચેઇન, ડોકમાં પહેરવાના ૩ ચકદા, નાકના બે દાણા, બાલી, બાળકોનો ચાંદીનો કંદોરો, રોકડા ૨૫૦૦૦ તથા દોઢેક મહીના પહેલા આ જ રીતે ફરીયાદીના ઘરમાંથી ચોરી થઇ હતી.
જેમાં પેન્ડલવાળો ચેઇન, કાનમાં પહેરવાની શેર નંગ ૨, ૨ નંગ બુટી અને રોકડા ૨૦૦૦૦ મળી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત કુલ ૬.૧૯.૩૦૦નો મુદામાલ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હતા. ફરીયાદ અનુસંધાને ઇન્ચાર્જ પીઆઇ ગળચર તપાસ ચલાવી રહયા છે, આ ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની પણ આશંકા દર્શાવવામાં આવી રહી છે, કારણ કે દોઢ માસ પુર્વે પણ હાથફેરો થયો હતો અને ફરી એકવાર રોકડ અને દાગીના ગાયબ થઇ ગયા છે. પોલીસ દ્વારા નિવેદનો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અન્ય બનાવમાં સમાણા ગામમાં રહેતા મનિષાબેન નિલેશભાઇ ગોહિલ નામની મહિલાએ શેઠવડાળા પોલીસમાં ગઇકાલે અજાણ્યા ઇસમ વિરુઘ્ધ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે ગત તા. ૨૪-૫-૨૫ના સમયગાળા દરમ્યાન ફરીયાદીના રહેણાંક મકાનમાં અજાણ્યા ઇસમે પ્રવેશ કરી રૂમના દરવાજાની પાછળ આવેલ ખુલ્લા કબાટમાં કપડાની નીચે રાખેલ પર્સમાથી કાનની બુટી, રોકડા ૬૦ હજાર મળી કુલ ૬૫ હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા જે ફરીયાદની તપાસ એએસઆઇ પરમાર ચલાવી રહયા છે.