જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલા સતીમાના મંદિરમાં ત્રાટકેલા તસ્કરો ચાંદીના છતરો, સોનાની આંખો અને દાનપેટીમાંથી અમુક રકમ મળી કુલ દોઢ લાખનો મુદામાલ ચોરી કરી ગયા છે મંદિરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશેલા તસ્કરોને શોધી કાઢવા સીસી કેમેરાની મદદ લેવામાં આવી છે.
ધુતારપર ગામમાં આવેલા સતિ માતાના મંદિરને કોઈ તકરોએ નિશાન બનાવી લીધું હતું, અને મંદિરમાંથી કોઈ તસ્કરો માતાજીને ચડાવેલા ચાંદીના છત્તર ઉપરાંત માતાજી ની સોનાની આંખ વગેરે મળી ચોરી કરી લઈ ગયા હતા, ઉપરાંત દાન પેટીમાં રાખેલી પરચુરણ ઉઠાવી ગયા હતા.
ચોરીના આ બનાવ અંગે મૂળ અમરેલીના વતની અને હાલ સુરત રહેતા નરેશભાઈ પરસોત્તમભાઈ ખીચડીયાએ પોલીસને જાણ કરતાં પંચકોશી-એ ડિવિઝનના પી.આઇ. એમ.એન. શેખ પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.
પોલીસ દ્વારા ગામમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાઓ તથા અન્ય ટેકનીકલના આધારે શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી છે. એકથી વધુ તસ્કરો આ કારસ્તાન હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જે બાબતે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.