પશુપાલન વિભાગ, જામનગર દ્વારા ઊંટોના સ્વાસ્થ્યની લેવાતી વિશેષ કાળજી
પશુપાલન વિભાગ, જામનગર દ્વારા ઊંટોના સ્વાસ્થ્યની લેવાતી વિશેષ કાળજી
December 15, 2025 05:25 PM
જામનગર જિલ્લામાં બે દિવસમાં ૨૧૦ ઊંટને ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર અપાઈ
જામનગર તા.૧૫ ડિસેમ્બર, પશુપાલન વિભાગ, જામનગર તાલુકાની ટીમે રિલાયન્સ ફાઉન્ડેશન જામનગરના સહયોગથી તા. ૧૩/૧૨/૨૦૨૫ ના રોજ સિક્કા ખાતે ઊંટ વર્ગના પ્રાણીઓ માટે ઝેરબાઝ (એન્ટીસરા) અને ખસ વિરોધી સારવાર કેમ્પનું આયોજન કર્યું હતું.
આ કેમ્પમાં જામનગર પશુપાલન ટીમે કુલ ૧૩૦ ઊંટ વર્ગના પશુઓને તેમના ઘર આંગણે જ ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર પૂરી પાડી હતી, તેમજ ૪ બીમાર પશુઓની સારવાર કરી હતી. વધુમાં, પશુ રોગ અન્વેષણ એકમ- જામનગર દ્વારા પશુઓમાંથી બ્લડ સ્મિયર, બ્લડ તેમજ સ્કિન સ્ક્રેપિંગના વિવિધ નમુના લેવામાં આવ્યા હતા.
આ જ ઝુંબેશને આગળ ધપાવતા, પશુપાલન વિભાગ, જામનગર હસ્તકના લાલપુર પશુપાલન શાખાની ટીમે તારીખ ૧૫/૧૨/૨૦૨૫ના રોજ લાલપુર તાલુકાના સિંગચ ખાતે પણ ઊંટ વર્ગના પ્રાણીઓ માટે ઝેરબાઝ (એન્ટીસરા) અને ખસ વિરોધી સારવાર માટેના કેમ્પનું આયોજન કર્યું હતું.
લાલપુર પશુપાલન ટીમ દ્વારા આ કેમ્પમાં કુલ ૮૦ ઊંટ વર્ગના પશુઓને તેમના ઘર આંગણે જ ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર આપવામાં આવી હતી તેમજ ૦૫ બીમાર ઊંટની સારવાર કરવામાં આવેલ હતી.
પશુઓની આંતરિક બીમારીઓ જેવી કે ચામડીના રોગ અને સરા ની તપાસ અર્થે પશુ રોગ અન્વેષણ એકમ- જામનગર દ્વારા પશુઓમાંથી બ્લડ સ્મિયર, બ્લડ તેમજ સ્કિન સ્ક્રેપિંગના વિવિધ નમુના લેવામાં આવ્યા હતા, આમ બે દિવસમાં કુલ ૨૧૦ ઊંટ વર્ગના પ્રાણીઓને નિદાન અને સારવારનો લાભ મળ્યો હતો.