BREAKING NEWS

બે-તૃતીયાંશ બહુમતનો ભરોસોઃ મહિલા અનામત પર સંસદનું વિશેષ સત્ર શક્ય

  • August 26, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિપક્ષના જાતિ ગણતરી અને શિક્ષણ સુધારાના નેરેટિવને પાછળ ધકેલવા માટે કેન્દ્ર સરકાર મહિલા અનામતના મુદ્દાને પ્રાથમિકતા આપવાની તૈયારી કરી રહી છે. મહિલા અનામત અને સીમાંકન (પરિસીમન) સંશોધન વિધેયક પર એક વાર ફરી એનડીએ છાવણીમાં રાજકીય સક્રિયતા વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર આ વિધેયકને નવા સિરેથી પસાર કરાવવાના પ્રયાસમાં સંસદનું વિશેષ સત્ર બોલાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે.

સંસદનું આ વિશેષ સત્ર આગામી સપ્ટેમ્બરમાં ૨૧-૨૨ સપ્ટેમ્બરની આસપાસ બોલાવવામાં આવી શકે છે. મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા અનામત આપવાનું મૂળ વિધેયક (નારી શક્તિ વંદન અધિનિયમ) પણ ત્રણ વર્ષ પહેલા ૨૦-૨૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પસાર થયું હતું. સરકાર આ જ તારીખો પર આ કાયદાને ૨૦૨૯થી જ લાગુ કરવા માટે નવું વિધેયક લાવીને એક મજબૂત રાજકીય સંદેશ આપવા માંગે છે.

સરકાર મહિલા અનામત અને સીમાંકનને ૨૦૨૯ની લોકસભા ચૂંટણીથી જ લાગુ કરવા ઈચ્છે છે. આ જ પ્રયાસમાં એપ્રિલ ૨૦૨૬માં વિધેયક લાવવામાં આવ્યું હતું, પરંતુ બે-તૃતીયાંશ બહુમતી ન હોવાના કારણે તે પસાર થઈ શક્યું નહોતું. જોકે, આ વખતે સરકારના ઉચ્ચ સૂત્રોનું માનવું છે કે તેમની પાસે આ બિલ પસાર કરાવવા માટે પૂરતું બે-તૃતીયાંશ સમર્થન ઉપલબ્ધ છે. સંસદના ચોમાસુ સત્રને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કર્યાને ૧૩ દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી સત્રાવસાન થયું નથી. આ અસામાન્ય સ્થિતિને પણ વિશેષ બેઠક બોલાવવા સાથે જોડીને જોવામાં આવી રહી છે.

સંસદીય ક્ષેત્રોના સીમાંકન કવાયતમાં અંદાજે બે વર્ષનો સમય લાગે છે. આવી સ્થિતિમાં ૨૦૨૯ની ચૂંટણી નવા સીમાંકન સાથે કરાવવાના એજન્ડા હેઠળ સરકાર પાસે સમય ખૂબ ઓછો છે. તેથી સરકાર વહેલી તકે આ વિધેયક પસાર કરવા માંગે છે. સરકારમાં એક રાય એવી પણ છે કે ડિસેમ્બરમાં શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તો પણ ટેકનિકલ માધ્યમોથી સીમાંકનની પ્રક્રિયા પૂરી કરી શકાય છે, જ્યારે બીજી રાય તેને વિશેષ સત્રમાં જ પસાર કરવાની છે.

રાજકીય ગણિત અનુસાર લોકસભામાં હાલ ૫૪૦ સભ્યો છે, જ્યાં ૨/૩ બહુમતી માટે ૩૬૦ મતોની જરૂર છે. એનડીએ પાસે ભાજપ અને સહયોગી મળીને ૩૧૯ સભ્યો છે. સરકારી સૂત્રો મુજબ ડીએમકે (૨૨), વાયએસઆર કોંગ્રેસ (૪), એનસીપી SP (૮) તેમજ અન્ય પક્ષો અને ચૂંટણી વાળા રાજ્યોના સભ્યોની ગેરહાજરીથી જરૂરી સમર્થન મેળવી શકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના પોતાના સંબોધનમાં લાલ કિલ્લા પરથી અપીલ કરી હતી કે દેશના તમામ રાજકીય પક્ષો મહિલાઓના સામર્થ્યના પૂજારી બને અને જલ્દીથી જલ્દી વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને ૩૩ ટકા પ્રતિનિધિત્વ મળે તે માટે યોગદાન આપે. બીજી તરફ, ભાજપ આ પગલા દ્વારા કોંગ્રેસના મહિલા મુદ્દાઓનો રાજકીય જવાબ આપવા માંગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application