આજે 77મો પ્રજાસત્તાક દિવસ છે. જેની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ વાવ-થરાદમાં યોજાયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળથી રાષ્ટ્રીય પર્વોની રાજ્યકક્ષાની ઉજવણી જુદા-જુદા જિલ્લાઓમાં જનભાગીદારીથી કરવાની શરૂ કરાવેલી નવતર પરંપરા અનુસાર 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં થઈ રહી છે.

પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો
સવારે 9 વાગે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારબાદ હાલ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉજવણી વાવ–થરાદ, સુઈગામ સહિતના અંતરિયાળ અને સીમાડા વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર, યુવા વિકાસ અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસને નવી દિશા આપશે. 77માં પ્રજાસત્તાક પર્વ લોકભાગીદારી અને વિકાસના પ્રતીક રૂપે જિલ્લાવાસીઓ માટે યાદગાર બનશે.

રવિવારે 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રીના આગમન સાથે સેવા સદન, ગૌમાતા સર્કલ અને દૂધવા જીઆઇડીસીના ભૂમિપૂજન, નારી સશક્તિકરણ કાર્યક્રમ તેમજ ગૌભક્તો સાથે સંવાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત રાજ્યપાલની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે એટ હોમ કાર્યક્રમ અને સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન પણ કરાયું હતું.