સુરત જિલ્લાના પલસાણા તાલુકા હેઠળ આવેલા કડોદરા નગર ભાજપના મહિલા ઉપપ્રમુખ શશીસિંગ સંજયસિંગ રાજપુતની ૨૪ વર્ષીય પુત્રવધૂ નિધિકુમારીએ પોતાના ઘરના પ્રથમ માળે બેઠક રૂમમાં સાડી વડે સીલિંગ ફેન સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દરમિયાન, હોસ્પિટલ ખાતે હાથ ધરાયેલી તબીબી તપાસ દરમિયાન એક નવો મોટો વળાંક આવ્યો હતો. નિધિકુમારીના આંતરવસ્ત્રોમાંથી એક અત્યંત સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. આ નોટમાં નિધિકુમારીએ પોતાની હૃદયદ્રાવક વ્યથા ઠાલવતા લખ્યું હતું કે, તેના પતિ સૌરભ રાજપુતના અન્ય એક મહિલા સાથે અનૈતિક સંબંધો છે. લગ્નના માત્ર ૨ વર્ષના ગાળામાં પતિ આ સંબંધોના કારણે તેને અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. તબીબોએ આ સ્યૂસાઈડ નોટ તુરંત જ કડોદરા પોલીસને સોંપી દીધી હતી.
ઘટના બન્યા બાદ સંજયસિંગે તુરંત જ કડોદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે તત્કાલ કાર્યવાહી હાથ ધરીને મૃતક નિધિકુમારીના વતન બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં રહેતા તેના ભાઈ આદિત્યકુમારને બનાવ અંગે માહિતગાર કર્યા હતા. ભાઈ આદિત્યકુમારે પોતાની બહેનની આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનો સંગીન આક્ષેપ કર્યો હતો. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે પોતે વતનથી કડોદરા ન પહોંચે ત્યાં સુધી પેનલ પોસ્ટમોર્ટમ સહિતની કોઈ કાર્યવાહી કરવી નહીં. આથી પોલીસે મૃતદેહને સુરક્ષિત રીતે હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાવવાની ફરજ પડી હતી.
ઘટનાના બે દિવસ બાદ જ્યારે ભાઈ આદિત્યકુમાર કડોદરા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પીઆઈ વી.એ.દેસાઈ સમક્ષ બહેનની હત્યાના આક્ષેપો દોહરાવ્યા ત્યારે પોલીસે તેમને આ સ્યૂસાઈડ નોટ બતાવીને સમગ્ર બનાવનું કડવું સત્ય સમજાવ્યું હતું. બહેનની હાથસાઇનવાળી સ્યૂસાઈડ નોટ અને ભાઈની લેખિત ફરિયાદના આધારે કડોદરા પોલીસે પતિ સૌરભ અને તેની પ્રેમિકા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application