રાજકોટ મામલતદાર કચેરીમાં પ્યુન તરીકે નોકરી કરનાર વૃદ્ધની ગૌરીદડમાં આવેલી રૂપિયા ૯ કરોડની જમીન પચાવી પાડવાનો કૌભાંડ સામે આવ્યું છે. જે અંગે વૃદ્ધ અને તેના પરિવારજનોએ પોલીસ કમિશનર કચેરીએ તલાટી મંત્રી સહિત ત્રણ શખસો સામે આક્ષેપ સાથે ફરિયાદ અરજી કરી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
કુવાડવા રોડ પર રામપાર્ક પાછળ શ્રીનાથજી પાર્ક બેમાં રહેતા અને રાજકોટ મામલતદાર કચેરીમાં પ્યુન તરીકે નોકરી કરનાર બકુલભાઈ મનસુખલાલ વ્યાસ (ઉ.વ. ૬૦) દ્રારા પોલીસ કમિશનર કરવામાં આવેલી ફરિયાદ અરજીમાં તલાટી મંત્રી રણછોડ અવચરભાઈ કકાસણીયા (રહે. ગુલમોહર રેસીડેન્સી રૈયા રોડ, રાજકોટ), અભિરામ ઘનશ્યામભાઈ નથવાણી (રહે. અંબાજી કડવા પ્લોટ–૧, ધર્મભકિત કોમ્પલેક્ષ) અને યોતિન ઘનશ્યામભાઈ નથવાણી(ઉ.વ. ૫૫ રહે. રામનગર શેરી નંબર ૮, પીડીએમ કોલેજ પાસે) ના નામ આપ્યા છે.
વૃદ્ધે ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે, તેઓને ગૌરીદડ રેવન્યુ સર્વે નંબર ૫૧૨ માં તેમના પિતા મનસુખલાલ કેશવજી વ્યાસના નામે વારસાઈ જમીન આવેલી છે. પિતાનું ૧૫/૧૧/૨૦૦૭ના અવસાન થયું હતું. જેના સીધી લીટીના વારસદારમાં વૃદ્ધ તથા તેના પરિવારજનો છે વૃદ્ધ મામલતદાર કચેરીમાં પ્યુન તરીકે નોકરી કરતા હોય જેથી વર્ષ ૨૦૦૮માં તલાટી મંત્રી રણછોડ કકાસણીયા સાથે પરિચય થયો હતો. તલાટીને વૃદ્ધ પાસે વારસાઈ જમીન હોવાની જાણ હતી. જેથી તેમણે આ જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી આપશે તેવી વાત કરી હતી અને તેનો ખર્ચ તથા દલાલીનો ખર્ચ થશે તેવું નક્કી થયું હતું. બાદમાં તારીખ ૭/૩/૨૦૨૪ના અરજી કરતાં અરજી મંજૂર થઈ હતી અને નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા માટે પ્રીમિયમની રકમ રૂ. ૧૪.૫૬ લાખ સરકારમાં જમા કરાવી હતી.
બાદમાં તલાટી મંત્રીય વૃદ્ધને આ જમીન વેચવી હોય તો તેમની પાસે એક પાર્ટી છે તેમ કહી અભિરામ અને યોતિનની વાત કરી હતી અને વૃદ્ધની જમીન નવ કરોડની હોવા છતાં જમીનમાં શરત ફેર કરવામાં આવી હોવાથી તેની કિંમત ૬ કરોડ છે તેવું કહી છ કરોડમાં સોદો નક્કી કરાવ્યો હતો.
બાદમાં વૃદ્ધને રૂપિયા ૨૧.૪૮ લાખની કિંમતના રણછોડભાઇએ ચેક આપ્યા હતા અને આ ચેક દસ્તાવેજ થઈ ગયા બાદ વટાવવાનું કહ્યું હતું. ત્યારબાદ તારીખ ૨૩/૯/૨૦૨૫ના વૃદ્ધના પરિવારજનો સબ રજીસ્ટર કચેરીએ જમીનના દસ્તાવેજ કરવા માટે ગયા હતા ત્યારે અભીરાભાઈ વિશે પૂછતા રણછોડભાઈએ કહ્યું હતું કે, તેમને અચાનક મુંબઈ જવાનું થયું છે દસ દિવસ બાદ તેઓ આવશે અને બાદમાં પૈસા આપી દેશે. જેથી વૃદ્ધના બનેવીએ દસ્તાવેજમાં સહી કરવાની ના પાડી હતી. પરંતુ રણછોડભાઈએ શબ્દોની માયાજાળમાં ફસાવી દસ્તાવેજ પર સહી કરાવી લીધી હતી. દસ્તાવેજ નામે થયા બાદ અવારનવાર કહેવા છતાં નક્કી થયા મુજબના પૈસા આપ્યા ન હતા. જે ચેક આપ્યા હતા તે વટાવવા નાખતા તે ચેક રિટર્ન થયા હતા. આમ તલાટી મંત્રી સહિત આ ત્રણેય શખસોએ મળી પૂર્વ આયોજિત કાવત રચી વૃદ્ધની વારસાઈ જમીન પચાવી પાડી હોય જે અંગે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી આ અંગે ગુનો નોંધી જરી કાર્યવાહી કરવા માંગણી કરી છે