ગુજરાત રાજ્યમાં વકીલાતના વ્યવસાયમાં જોડાવવા માંગતા કાયદાના સ્નાતકની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વખતોવખતના નિયમો અનુસાર એડવોકેટ તરીકે રજીસ્ટ્રેશન કરી સનદ મેળવવા હક્કદાર બને છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ૧૯૬૧માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એડવોકેટને સનદ આપવા ઉપરાંત એડવોકેટ વિવિધ પ્રકારના કાયદાઓ અને વિવિધ જોગવાઈઓથી વાકેફ રહે તે માટે સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપનું આયોજન કરે છે. તેમજ વિવિધ જિલ્લા મથક ખાતે ન્યાયતંત્રની સાથે સંકલન કરી લોક અદાલતનું આયોજન કરે છે.
ગુજરાત રાજ્યમાં અત્યારે ૩૪ મહેસુલી જિલ્લામાં ૨૦૦ કરતા વધારે તાલુકા મથકો ઉપર કોર્ટ અને વિવિધ બાર એસોસિએશન કાર્યરત છે. એક અંદાજ પ્રમાણે હાલમાં ગુજરાતમાં ૧,૦૦,૦૦૦ જેટલા વકીલો વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા છે.
વકીલાતના વ્યવસાયમાં વકીલોએ એડવોકેટ એક્ટ મુજબના એથીકનું પાલન કરવાનું હોય છે. વકીલોની સામેની વિવિધ પ્રકારની ફરીયાદોના બારામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની શિસ્ત કમિટી કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલા પણ લે છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સ્થાપના બાદ બાર કાઉન્સિલની વિવિધ ચૂંટણીઓમાં રાજકોટ શહેરનું નોંધપાત્ર યોગદાન રહેલ છે.
રાજકોટ બાર એસોસિએશનના જૂની પેઢીના સિનિયર એડવોકેટ સ્વ. પ્રભુદાસભાઈ એન. સોનેજી, પૂર્વ ધારાસભ્ય અને સિનિયર ધારાશાસ્ત્રી સ્વ.બાલકૃષ્ણભાઈ શુક્લ, સિનિયર ધારાશાસ્ત્રી અને પૂર્વ ચેરમેન સ્વ.નિરંજનભાઈ દફતરી (ચાર ટર્મ), સિનિયર ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન સને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ વાઈસ ચેરમેન સ્વ. એન.એસ. ભટ્ટ (ચાર ટર્મ) તેમજ પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ સહિતના એડવોકેટનું યોગદાન રહેલું છે.
સંકલન
કિરીટ પાઠક, એડવોકેટ