રાજકોટ શહેરમાં ભરશિયાળે દવાખાનાઓ દર્દીઓથી છલકાય રહ્યા છે ત્યારે રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાએ રોગચાળો વકર્યો હોવાનું ન જણાય તે માટે આંક ઘટાડી રોગચાળો કાબુમા હોવાનું ચિત્ર ઉપસાવ્યું છે ! શું ૨૫ લાખની વસ્તીના શહેર રાજકોટમાં એક સપ્તાહમાં વિવિધ રોગચાળાના ફ્ક્ત ૧૭૦૨ કેસ જ હોય શકે ખરા ?
મનપાએ વિકલી એપેડેમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુનો એક, શરદી ઉધરસના ૯૨૯, સામાન્ય તાવના ૬૩૩, ઝાડા ઉલ્ટીના ૧૩૮, ટાઈફોઈડનો એક કેસ મળી વિવિધ રોગચાળાના કુલ ૧૭૦૨ કેસ નોંધાયાનું જાહેર કર્યું છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાએ કરેલી કામગીરીની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળતા ૫૧૨ ઘરોમાં ફોગિંગ કરાયું હતું, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૬૩ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ,ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી, જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૨૪ અને કોર્મશીયલ ૧૩ મળી કુલ ૧૩૭ને નોટીસ ફટકારાઇ હતી. જ્યારે પાણીજન્ય રોગ પ્રસરતા અટકાવવા વિવિધ વિસ્તારોમાંથી પાણીના કુલ ૭૧૯ સેમ્પલ લઇ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે તમામ સેમ્પલ ટેસ્ટમાં પાસ થયા હતા.