ઉનાળા દરમિયાન ઘર ઠંડુ કરવા માટે મોંઘા સાધનો અને નોંધપાત્ર વીજળીની જરૂર પડે છે. ઉર્જા બચાવવા માટે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (આઇઆઇટી) ગુવાહાટીએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સંશોધકોએ એવી ઇંટો વિકસાવી હોવાનો દાવો કર્યો છે જે સસ્તી અને ઘરોને ઠંડુ રાખવામાં મદદરૂપ છે. આ ઇંટોની અનોખી વિશેષતા એ છે કે તે બહારની ગરમીને દિવાલોમાં પ્રવેશતી અટકાવે છે, જેનાથી ઘરની અંદરનું તાપમાન સામાન્ય રહે છે.
સ્કૂલ ઑફ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને સ્કૂલ ઑફ એગ્રો એન્ડ રૂરલ ટેકનોલોજીના સંશોધકોએ આ હળવા વજનની ઇંટો બનાવવા માટે કૃષિ અને ઔદ્યોગિક કચરા અને સામાન્ય માટીનો ઉપયોગ કર્યો છે. આ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે. આ ઇંટોના નિર્માણમાં થર્મલ ઇન્સ્યુલેશનનો વિચાર કરવામાં આવ્યો છે. ઉનાળા દરમિયાન, તેઓ સૂર્યની ગરમી શોષી લે છે અને રૂમની અંદર આરામદાયક તાપમાન જાળવી રાખે છે. આ 28 થી 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ભેજવાળા સ્થળો માટે યોગ્ય છે.
ભારતમાં ઉનાળાની શરૂઆત થતાં જ આકરી ગરમી અને લૂનો સામનો કરવો પડતો હોય છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મોંઘા એર કંડિશનર (એસી) ખરીદવા અને તેનું મસમોટું વીજળી બિલ ભરવું મુશ્કેલ હોય છે. આ સમસ્યાના કાયમી અને સસ્તા ઉકેલ તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (આઇઆઇટી) ગુવાહાટીના સંશોધકોએ એક ક્રાંતિકારી શોધ કરી છે. તેમણે એવી ખાસ ઇંટો વિકસાવી છે જે કુદરતી રીતે ઘરને ઠંડુ રાખવામાં મદદરૂપ થશે.
આઇઆઇટી ગુવાહાટીના સંશોધકોનો દાવો છે કે આ ઇંટો બહારની પ્રચંડ ગરમીને દિવાલોની અંદર પ્રવેશતા અટકાવે છે. સામાન્ય રીતે ઉનાળામાં સિમેન્ટની દિવાલો ગરમી શોષી લે છે, જેના કારણે રાત્રે પણ ઘરની અંદર ઉકળાટ રહે છે. પરંતુ આ નવી ઇંટોમાં થર્મલ ઇન્સ્યુલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સૂર્યના સીધા કિરણોની ગરમીને શોષી લે છે અને તેને રૂમની અંદર પહોંચવા દેતી નથી. આ ઇંટો 28થી 38 ડિગ્રી તાપમાન ધરાવતા અને ભેજવાળા વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેના ઉપયોગથી ઘરની અંદરનું તાપમાન સામાન્ય રહે છે, જેના કારણે પંખા કે એસીનો વપરાશ ઘટશે અને વીજળીની મોટી બચત થશે.
આ પ્રોજેક્ટમાં આઇઆઇટી ગુવાહાટીની બે મહત્વની પાંખો સ્કૂલ ઑફ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને સ્કૂલ ઑફ એગ્રો એન્ડ રૂરલ ટેકનોલોજીએ સાથે મળીને કામ કર્યું છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ ઇંટો બનાવવા માટે કોઈ મોંઘા કેમિકલનો ઉપયોગ થયો નથી. ઇંટો બનાવવામાં ખેતીનો નકામો કચરો, ઓદ્યોગિક કચરો અને સામાન્ય માટીનો ઉપયોગ કર્યો છે. આ પ્રક્રિયાથી માત્ર સસ્તી ઇંટો જ નથી મળતી, પરંતુ કૃષિ અને ઔદ્યોગિક કચરાના નિકાલની સમસ્યા પણ હલ થાય છે, જે પ્રદૂષણ ઘટાડવામાં મોટો ફાળો આપશે.
પરંપરાગત લાલ ઇંટો કે સિમેન્ટના બ્લોકની સરખામણીએ આ ઇંટો વજનમાં ઘણી હળવી છે. હળવા વજનને કારણે ઇમારતના બાંધકામમાં પાયા પરનું વજન ઘટે છે અને કામ કરવાની ઝડપ વધે છે. તેની મજબૂતી પણ સામાન્ય ઇંટો જેવી જ જાળવી રાખવામાં આવી છે.