\\\\
કેન્દ્ર સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી જાહેર કરવામાં આવી છે અને આ માટે પ્રતિ ક્વિન્ટલ રૃપિયા 8,000 નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. બજારભાવ કરતાં ટેકાનો ભાવ વધુ હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે ટેકાના ભાવે જ્યારે ખરીદી થતી હોય ત્યારે કુલ ઉત્પાદનના નિશ્ચિત કરેલ ટકા માલ ખરીદવામાં આવતો હોય છે. પરંતુ તુવેરમાં વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખી 100 ટકા ખરીદી કરવામાં આવશે તેવી પણ મહત્વની જાહેરાત થઈ છે.
જે ખેડૂતો પોતાની તુવેર ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેમણે તારીખ 21 ડિસેમ્બર થી 21 જાન્યુઆરી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર (વીસીઇ) મારફતે આધાર ઓથેન્ટિફિકેશન અથવા તો ફેઇસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ- સમૃદ્ધિ પોર્ટલ પર કરાવવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા રેશનકાર્ડ પર સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને તુવેર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવે છે. પરંતુ પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે નિયમિત રીતે રેશનકાર્ડ પર તુવેરનું વિતરણ થઈ શકતું નથી અને સરકારને વારંવાર ટીકાનો ભોગ બનવું પડે છે. ટેકાના ભાવે તુવેરની ખરીદી કર્યા પછી આમાંથી લગભગ મોટાભાગનો જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થામાં મૂકી દેવાશે અને સસ્તા અનાજના વેપારીઓ મારફત સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને રેશનકાર્ડ પર તે આપવામાં આવશે.
આવી જ રીતે મધ્યાન ભોજન યોજનામાં પણ તુવેરદાળ નિયમિત મળતી ન હોવાથી તેના વિકલ્પમાં અન્ય ભોજન બનાવવામાં આવતું હોય છે. ટેકાના ભાવે 100% માલ ખરીદ કર્યા પછી મધ્યાન ભોજન યોજનાના લાભાર્થી બાળકોને પણ નિયમિત રીતે તુવેરદાળ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.