શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ભંગારના ડેલામાંથી દોઢ લાખની કિંમતના 150 કિલો ભંગારની ચોરી થઈ હતી. જે ગુનાનો ભેદ થોરાળા પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નવા થોરાળા વિસ્તારમાં રહેતા શખસને ઝડપી લઇ તેની પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોરીમાં તેની સાથે અન્ય એક શખસ પણ સામેલ હોય તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નંબર 14 વર્ષા મેટલ સ્ક્રેપ સામેની શેરીમાં મકાનમાં આવેલા ભંગારના ડેલાના તાળા તોડી સીસીટીવી કેમેરા તોડી રૂપિયા 2000 નુકસાન કરી મકાનમાંથી તાંબાના વાયરના ભંગાર આઠ કોથળા કિંમત રૂપિયા દોઢ લાખની ચોરી થયા અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા માટે થોરાળા પોલીસમાં પીઆઇ એન.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
પીએસઆઇ એચ.ટી.જીંજાળા તથા તેમની ટીમે આ અંગે તપાસ શરૂ કરી હતી દરમિયાન એએસઆઈ જયેશભાઈ નિમાવત, હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ લોખિલને મળેલી બાતમીના આધારે ચોરી કરેલા મુદ્દામાલ સાથે એક શખસ ક્રિષ્ના પાર્ક પાછળ ભૂગર્ભ ગટરની કુંડી પાસે આજી નદી કાઢે હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસની ટીમે અહીં પહોંચી અહીં કુંડી પાસે એક કાળા કલરનું કંતાન ઢાંકેલું હોય જે હટાવી જોતા પ્લાસ્ટિકના બાચકા મળી આવ્યા હતા. જેમાં કોપર વાયરનો ભંગાર મળી આવ્યો હતો. જેથી અહીં હાજર મળી આવેલા શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ અર્જુન ઉર્ફે ચુની ઉર્ફે ચોટલો દિલીપભાઈ સોલંકી(ઉ.વ. 19 રહે. બાપાસીતારામ શેરી નંબર 5, સાધુ સમાજના સ્મશાનની બાજુમાં, નવા થોરાળા મેઈન રોડ, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ શખસની સઘન પૂછતાછ કરતા તેણે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં થયેલી ચોરીની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી 150 કિલો કોપરનો વાયર કિંમત રૂપિયા દોઢ લાખ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં થોરળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલા, પીએસઆઇ એચ.ટી. જીંજાળા, એએસઆઇ જયેશભાઈ નિમાવત, મહેશભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ પરમાર, હસમુખભાઈ નીનામા, ધર્મેન્દ્રભાઈ ગઢવી, ઇમરાનભાઈ ચુડાસમા, હિતેશભાઈ પરમાર, વિક્રમ લોખિલ અને કોન્સ્ટેબલ નિલેશભાઈ ચૌહાણ સાથે રહ્યા હતા.