જામનગરના લાલપુર બાયપાસ પાસે રહેતા જમીન મકાનના ધંધાર્થીને ગોળી મારી દેવાની ધમકી આપ્યાની તેમજ સમાધાન માટે ફોન કરનાર ફરીયાદીના મિત્રને પણ અપશબ્દો કહયાની ઇવાપાર્કમાં રહેતા શખ્સ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરમાં લાલપુર બાયપાસ નજીક જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા અને જમીન લે-વેચનું કામ સંભાળતા ગૌતમ મનસુખભાઈ વેકરીયા નામના ૩૨ વર્ષના પાટીદાર યુવાને પોતાને તેમજ પોતાના મિત્ર મહેશભાઈ ડોબરીયાને મોબાઈલ ફોનમાં ધમકી આપવા અંગે ઇવા પાર્કમાં રહેતા હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ દેવરાજભાઈ પેઢડીયા સામે પંચ-બીમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મુળ પડધરીના સાલપીપળીયા ગામના અને હાલ જયોતીપાર્ક સોસાયટીમાં રહેતા ફરીયાદી ગૌતમભાઇએ પંચ-બીમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર આરોપી હસુભાઇએ ફરીયાદીને ફોનમાં અપશબ્દો કહયા હતા અને તેને ગુપ્ત ભાગે ગોળી મારી દેવાની ધમકી આપી હતી, આ બાબતે ફરીયાદીના મિત્ર મહેશભાઇ ડોબરીયાએ સમાધાન માટે આરોપી હસુભાઇને ફોન કરતા આરોપીએ તેને પણ ફોનમાં અપશબ્દો કહયા હતા.
આ બનાવ મામલે પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી.જે. રાઠોડએ બી.એન.એસ. ૨૦૨૩ની કલમ ૩૫૨ અને ૩૫૧(૩) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.