રાજકોટમાં ડ્રગ્સ મુક્ત રાજકોટ અભિયાન અંતર્ગત રાજકોટ એસ ઓ જી એ કરેલ નોંધપાત્ર કામગીરી તેમજ ડ્રગ્સ માફિયાઓ ને પીટ એન ડી પી એસ હેઠળ જેલમાં ધકેલવામાં મહત્વની ભુમિકા ભજવનાર શહેર એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાને સ્ટેટ મોનીટરીંગ સેલમાં સ્થાન આપવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં છેલ્લા એક વર્ષમાં શહેરમાંથી ડ્રગ્સની બદી દૂર કરવા 'સે નો ટુ ડ્રગ્સ' અંતર્ગત એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાએ આકરી કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં પેડલરોને ડ્રગ્સ અને ગાંજા સહિતના માદક પદાર્થ સાથે પકડ્યા છે. ઉપરાંત તેઓએ કુખ્યાત પેડલરો સામે રાજ્યમાં સૌથી વધું પીઆઇટી એકટ હેઠળ કાર્યવાહી કરી પેડલરોને રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરવાની મોટી કામગીરી કરી છે. જે કામગીરીને ધ્યાને લઇ ગૃહ વિભાગ દ્વારા તેઓને ત્રણ મહીંના માટે એસએમસીની કામગીરીમાં સામેલ કર્યા છે.
અત્યંત નોંધનીય બાબત છે કે, તાજેતરમાં જ ગત તા.27 ઓકટોબરની વહેલી સવારે મંગળા રોડ પર સરાજાહેર ગેંગસ્ટર સ્ટાઈલમાં સામસામે ફાયરિંગ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરનાર પેંડા-મુરઘા ગેંગના સભ્યોને ઝડપી પીઆઈ એસ એમ જાડેજાએ કાયદેસર બેવડા વાળી દીધા હતા. ઉપરાંત નાના મવા રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 નિર્દોષ જીવતા ભૂંજાઈ ગયા હતા.
જે કાળજુ કંપાવનારી ઘટનાની તપાસ કરવા નિમાયેલી એસઆઈટીમાં સ્થાન મેળવનાર પીઆઈ એસ એમ જાડેજા હવે સ્ટેટ મોનિટરીંગ સેલમાં ફરજ બજાવશે, આ ઉપરાંત એસએમસીની ટીમમાં ભાવનગર પીઆઈ એમ.કે. માલવીયા, અને અમદાવાદ પીઆઈ પી.ડી.મોરીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.