જોડીયા પંથકમાં ખનીજ ખનન અંગે અવાર નવાર ફરીયાદો ઉઠે છે તાજેતરમાં જ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે ખનન કરેલ ખનીજ સાથેના વાહનો કબ્જે કર્યા હતા દરમ્યાનમાં જોડીયાના રણજીતપર ગામમાં રેતી ખનન કરતા વાહનોને રોકવા બાબતે બબાલ થઇ હતી જેમા ગામમાં રહેતા યુવાન સહિત ત્રણ પર હુમલો કરી ધમકી દીધાની બાલંભા, ધ્રોલના બે શખ્સ અને એક અજાણ્યા ઇસમ વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.
જોડીયાના રણજીતપર ગામમાં રહેતા ખેતીકામ કરતા રમેશ રણછોડભાઇ રાઠોડ (ઉ.વ.૩૩) તથા ગામના અન્ય લોકોએ રણજીતપર ગામની જુની આજી નદી સ્મશાન પાસે નિલેશભાઇ તથા રેનીશ રેતીનું ખનન કરતા હોય જેઓને ખનન કરતા વાહનોને રોકવા તથા ધોરણસર કાર્યવાહી કરાવવા રેતી ભરેલ ટ્રક રોકતા આરોપીઓ આવીને ઉશ્કેરાઇ ગયા હતા.
દરમ્યાનમાં ફરીયાદીને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો, સાહેદ જેન્તીલાલ રાઠોડ તથા ભુમીતભાઇ ગાંગાણીને મુંઢ ઇજા પહોચાડી હતી ઉપરાંત ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને અન્ય એક આરોપીએ અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી દઇ રેતી ભરેલ ડમ્પર જીજે૧૩ડબલ્યુ-૨૧૧૧ લઇ ત્યાથી ચાલ્યા જઇ એકબીજાને મદદગારી કરી હતી.
આ અંગે રમેશભાઇ રાઠોડ દ્વારા ગઇકાલે જોડીયા પોલીસ સ્ટેશનમાં બાલંભા ગામના નિલેશ માલવીયા, ધ્રોલના રેનીશ પટેલ અને એક અજાણ્યા ઇસમની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ કે.ડી. જાડેજા તપાસ ચલાવી રહયા છે.