જામનગરમાં પહેલા વરસાદે જ વિજતંત્રના પાપે રણજીતસાગર રોડ પર જડેશ્ર્વર ચોકડી તથા જશોદાનગર તથા પટેલ કોલોનીમાં વિજ પોલમાંથી શોક લાગતા ૩ ગાયના મોત નિપજતાં જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી સાથે પ્રચંડ રોષની લાગણી ફેલાઇ છે. મોતના માચડા સમાન વિજપોલથી હજુ પણ અકસ્માતનો જોખમ ઝળુંબી રહ્યું છે. ત્યારે પોલમાંથી વિજશોકના કારણે માનવીના મૃત્યુ થશે તો જવાબદાર કોણ ? શહેરીજનોમાં સવાલ ઉઠ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની લાઈટ શાખાની પણ બેદરકારી પ્રથમ વરસાદની સાથે સામે આવી ગઈ છે, અને ખાસ કરીને રણજીત સાગર રોડ પર જડેશ્વર ચોકડી પાસે તો પ્રતિવર્ષ વીજ શોકમાં અબોલ પશુઓનો ભોગ લેવાય છે. અને સ્ટ્રીટ લાઇના વીજપોલમાંથી ગાયોના મૃત્યુના અહેવાલો મળતા રહે છે. જે મુજબ આ વખતે પણ પ્રથમ વરસાદમાં એક ગાયનો ભોગ લેવાયો છે. જડેશ્વર ચોકડી પાસે ડિવાઇડર ની વચ્ચે પાણી ભરાઈ જતા હોવાના કારણે તેમજ ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા થઈ ન હોવાથી અહીં વરસાદી પાણી ભરાય છે, અને રોડની વચ્ચે આવેલા સ્ટ્રીટ લાઈટ ના વીજપોલમાંથી એક ગાયને વિજ કરંટ લાગ્યો હતો, અને સ્થળ પર જ મૃત્યુ પામી છે. જેથી ગૌ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
જામનગર શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજ તંત્રની બેદરકારી સામે આવી છે. રણજીત સાગર રોડ પર જશોદાનગર સોસાયટી વિસ્તારમાં વીજ થાંભલા માંથી કરંટ લાગતાં એક ગાયનું મોત થયું છે. મંગળવારે બપોરે ઉપરોકત વિસ્તારમાં બે ગાય વિજ પોલની નજીક ફરી રહી હતી, જે દરમિયાન એક ગાય લોખંડ ના વીજ પોલને અડી જતાં તેમાંથી વીજ કરંટ લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું, તેથી સ્થાનિક રહેવાસીઓ તથા ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો છે. કેટલાક સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ આ વિજ પોલ માંથી વીજ કરંટ આવતો હોવાની વિજ તંત્ર ને જાણ પણ કરવામાં આવી હતી, તેમ છતાં નિષ્કાળજી ના કારણે એક ગાયનો ભોગ લેવાયો છે. આ અંગે વિજ તંત્રએ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે
શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજતંત્રની પોલ ખુલી છે, ગઈકાલે રણજીત સાગર રોડ પર જશોદાનગર સોસાયટીમાં ગાયના મૃત્યુ તેમ જ જડેશ્વર ચોકડી પાસે એક ગાયના મૃત્યુના બનાવ બાદ ગઈકાલે મોડી રાત્રે પટેલ કોલોની વિસ્તારમાં પણ એક પશુધનનું મૃત્યુ થયું છે. પટેલ કોલોની શેરી નંબર ૬ માં એક વીઇ પોલમાંથી એક આંખલા ને વિજ આંચકો લાગવાથી સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું છે. માત્ર ચોવીસ કલાક પાંચ ત્રણ પશુધને વિજ આંચકાથી જીવ ખોયા છે. જેને લઈને જીવદયા પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહયો છે.