ઈન્દોરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર અને બસ વચ્ચે ભીષણ ટક્કર થતા બંને વાહનો ઊંડી ખીણમાં ખાબક્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 13 મુસાફરોને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકોમાં એક સુરતના રિક્ષાચાલકનો પણ સમાવેશ થાય છે. તેમજ એક ઈજાગ્રસ્ત પણ સુરતનો છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે 9:40 વાગ્યે સિમરોડ નજીક ભેરુઘાટમાં આ અકસ્માત થયો હતો. બસ ઓમકારેશ્વરથી ઇન્દોર જઈ રહી હતી ત્યારે તે એક કાર સાથે અથડાઈ હતી. એવું કહેવાય છે કે બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. મુસાફરોનું કહેવું છે કે બસનો ડ્રાઈવર નશામાં હતો. અકસ્માતની માહિતી મળતાં, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ 30 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, કેટલાકને બસની બારીઓ તોડીને બચાવવા પડ્યા. ઘાયલોને ઇન્દોરની MY હોસ્પિટલ અને મહુ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અધિક પોલીસ અધિક્ષક રૂપેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કલેક્ટર શિવમ વર્માએ તાત્કાલિક એસડીએમ મહુને ઘટનાસ્થળે મોકલ્યા અને ઘાયલોને ઇન્દોરની એમવાય હોસ્પિટલમાં ખસેડ્યા. કલેક્ટરે સમગ્ર ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.
અકસ્માતમાં ત્રણ લોકોના મોત
મહુના ભેરુઘાટમાં થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. ઇન્દોરના તિલક નગરના રહેવાસી પદ્માબાઈ (45), અને યુપીના દેવરિયાના રહેવાસી રાહુલ (25)ના મૃતદેહ મહુ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઇન્દોરના ન્યૂ ગોરી નગરના રહેવાસી અશોક રાવની પત્ની અનિતા (40)નો મૃતદેહ MY હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જેમાં મૃતક રાહુલ હાલ ગુજરાતના સુરતમાં રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે અને ઘાયલોને તબીબી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.