તાલાળામાં આજે ત્રિપલ અકસ્માતની ઘટનાથી પંથક આખો ધ્રુજી ઉઠ્યો હતો. બાઈક, નારિયેળ ભરેલો છકડો અને આઇસર વચ્ચે અકસ્માત થતા કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મળતી માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં સુરવા-માધુપુર વચ્ચે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. મૃતકોની ઓળખ કિશોરભાઈ, પ્રભુદાસભાઈ અને દીક્ષિતભાઈ વડોદરિયા તરીકે થઈ છે. મૃતકોમાં કાકા-ભત્રીજાનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ તાલાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે તાલાલાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
દીક્ષિત દિલીપભાઈ વાડોદરિયા - જાવંત્રી(ગીર), તાલાલા
પ્રભુદાસભાઈ ધીરુભાઈ વાડોદરિયા - જાવંત્રી(ગીર), તાલાલા
કિશોર હરિભાઇ મારડીયા - તાલાળા
સુરવા-માધુપુર વચ્ચે ચૈતન્ય હનુમાન મંદિર પાસે ઘટેલા ટ્રિપલ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યાં હતા. ટ્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર કાકા-ભત્રીજા બંનેના મોત થયા હતા, સાથે નારિયેળ ભરેલો છકડો ચલાવનાર ચાલકનું પણ મોત થયું હતું. બાઇક પર સવાર કાકા-ભત્રીજા બંને લગ્નની ખરીદી કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને કાળ ભેટ્યો હતો. તાલાળા સરકારી હોસ્પિટલમાં મૃતકોના સ્વજનો દોડી આવ્યા હતા. મૃતકોના સ્વજનોના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ શોકમય બની ગયું હતું.
કાકા ભત્રીજાના મોત, ભત્રીજાના એક મહિના બાદ લગ્ન હતા
આ ઘટનાના બાઇક પર સવાર જાવંત્રી(ગીર) ગામના કાકા-ભત્રીજા દીક્ષિત દિલીપભાઈ વાડોદરિયા (ભત્રીજો) અને પ્રભુદાસભાઈ ધીરુભાઈ વાડોદરિયા (કાકા) બંને તાલાલા લગ્નની ખરીદી કરવા ગયા હતા. ત્યાંથી પરત જાવંત્રી જતાં સમયે બંને અકસ્માતને ભેટ્યાં. એક મહિના બાદ મૃતક દીક્ષિત દિલીપભાઈ વાડોદરિયાના લગ્ન હતા. લગ્ન પહેલા જ જુવાનજોધ પુત્ર અને કાકાના મૃત્યુથી વાડોદરિયા પરિવાર માથે આભ ફાટ્યા સમાન ઘટના બની છે.