૧૦ એપ્રિલ ૧૯૬૭એ ભારતના સિંધી સમુદાય માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે એ દિવસે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણને ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સિંધી ભાષાનો સમાવેશ કરવાના બિલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
આથી જ આ દિવસને સિંધી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓગષ્ટ ૧૯૪૭માં ભારતમાં ભાગલા વખતે માતૃભૂમિ સિંધ છોડી ભારત આવ્યા ત્યારે બંધારણમાં ૧૪ ભાષાઓ સમાવિષ્ટ હતી અને ૭ એપ્રિલ ૧૯૬૭ના રોજ લોકસભામાં સિંધી ભાષા બિલ પસાર થયા પછી તા.૮મીએ શનિવાર અને ૯મી એપ્રિલે રવિવારના રોજ તમામ સરકારી કચેરીઓ બંધ હતી અને ૧૦ એપ્રિલ ૧૯૬૭એ ચેટીચાંદ ઉત્સવનો દિવસ હતો. આવા પ્રસંગે જયરામદાસ દોલતરામજીના પ્રયાસોથી તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને ૧૦ એપ્રિલ ૧૯૬૭ના રોજ ખરડા ઉપર હસ્તાક્ષર કર્યા અને ચેટીચાંદના તહેવાર ઉપર સિંધી સમુદાયને આ ભેટ આપી અને બંધારણની આઠમી અનુસૂચિમાં ૧૫મી ભાષા તરીકે સામેલ કરવામાં આવી ત્યારથી સિંધી ભાષા દિવસ ઉજવાય છે. અગાઉ સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, જેતપુર સહિતના શહેરોમાં ખાસ સિંધી સ્કૂલો હતી જે લાંબા સમયથી બંધ થઈ ગઈ છે.
સ્વર્ગસ્થ ઈતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈ કહે છે કે, સિંધીઓ સિંધમાંથી આ દેશમાં આવ્યા તે પૂર્વે તેમના ગુરૂ પૂ. સ્વામિ લીલાશાહ પણ ભારત આવ્યા અને શંભુભાઈને તેમની સાથેનો પરિચય ૧૯૬૨માં ટ્રેનમાં થયો હતો અને જૂનાગઢમાં સિંધી હાઈસ્કૂલનું ઉદઘાટન કરવા આવ્યા હતા અને તા. ૨૦-૮-૧૯૭૨ના રોજ ઉદઘાટન કરેલ અને તે હાઈસ્કૂલનું નામ પણ લીલાશાહ હાઈસ્કૂલ રાખેલ હતું અને નવા મકાન બાંધવાનું નક્કી થતા તા.૧૮-૧-૧૯૭૩ના રોજ પૂજા પણ કરાવાઈ હતી.