રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિમલ નથવાણી રાજકોટ વાયબ્રન્ટ સમિટમાં પહોંચ્યા છે. અદાણીનો કાફલો પણ આવી પહોંચ્યો છે. વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશથી ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે.
PM મોદી આજે(11 જાન્યુઆરી) વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનું ઉદ્ઘાટન કરશે. રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફોરન્સને ખુલ્લી મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5,000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે. તથા રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ MOU કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
રાજકોટની અનેક કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગન બુલેટ્સ, રિવોલ્વર, રાઇફલ, બોમ્બ સેલ, હેન્ડ બોમ્બ શેલ, એરક્રાફ્ટ, એરોસ્પેસ કોમ્પોનન્ટ, ટેક્નોલોજી તથા મશિનરી બનાવી રહી છે તેને વેગ આપવા માટે ‘આત્મનિર્ભર ભારત ઇન ડિફેન્સ’ સાથે નવી દિશાને ધ્યાનમાં રાખી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ડિફેન્સ પોલિસીમાં રાહતો સાથે એરો સ્પેસ પોલિસીની રજૂઆત થઇ શકે છે. ડિફેન્સ ઉત્પાદનોમાં ગુજરાત અને રાજકોટ મહત્વના સ્થાન તરીકે ઉભરી રહ્યું છે. આ સેગમેન્ટને વેગ આપવા માટે સમિટમાં સરેરાશ 10,000 કરોડથી વધુના MOU થાય તેવો અંદાજ છે.