મહાપાલિકા તંત્ર દ્વારા કાલાવડ રોડ પર બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ (બીએપીએસ) મંદિરની બરાબર સામે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવા ખોલવામાં આવેલું ડિવાઇડર તોડ્યાના ત્રણ દિવસ પછી પણ કામ અધૂરું છે અને લોકોને હાડમારી ભોગવવી પડે છે. ત્રણ ત્રણ દિવસથી આ ડિવાઇડર તોડીને વચ્ચે ક્રેઇન મૂક્યા બાદ મહાપાલિકા તંત્ર ઉંઘી જતા પિક અવર્સમાં ટ્રાફિક ટેરર સર્જાઇ રહ્યો છે.
વિશેષમાં આ અંગે મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો સ્વામિનારાયણ મંદિર પાસે વરસાદી પાણી ભરાયેલું રહેતું હોય તેમજ તેના કારણે ડામર રોડ ખરાબ થતો હોય અને તેમાં ખાડા પડી જતા હોય અહીં વરસાદી પાણીના નિકાલની લાઇન નાખવાનું કામ શરૂ કર્યું છે.
વરસાદી પાણીના નિકાલની લાઇન નખાય તે સારી વાત છે પરંતુ હાલ કામ બંધ છે, રોડ ઉપર પાઇપનો ખડકલો જેમનો તેમ પડી રહ્યો છે તેમજ આટલું ઓછું હોય તેમ રોડની વચ્ચે ત્રણ ત્રણ દિવસથી ક્રેઇન પણ જેમની તેમ મૂકી દેવાઇ છે. અહીં કોઇ મહાપાલિકાના કોઈ અધિકારી, પદાધિકારી, એન્જિનિયર કે કોર્પોરેટર સાઇટ વિઝીટ માટે આવ્યા નથી.