યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા માટે રચાયેલા 'બોર્ડ ઓફ પીસ'નો ભાગ બનવા માટે ભારતને આમંત્રણ આપ્યું છે. 'શાંતિ બોર્ડ' એ ઇઝરાયલ અને હમાસ વચ્ચે અમેરિકા દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કાનો મુખ્ય ઘટક છે. આ બોર્ડ ગાઝામાં પુનર્નિર્માણ, શાસન, રોકાણ અને મૂડી એકત્રીકરણની દેખરેખ માટે જવાબદાર રહેશે. અહેવાલ મુજબ, આ બોર્ડની અધ્યક્ષતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કરશે. શરૂઆતમાં, આ સંગઠન ગાઝા સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ પછીથી અન્ય વૈશ્વિક સંઘર્ષોને સંબોધવા માટે તેનો વિસ્તાર કરશે. આ માહિતી યુએસ પત્ર અને ડ્રાફ્ટ ચાર્ટરને ટાંકીને આપવામાં આવી છે. જો ભારત આ આમંત્રણ સ્વીકારે છે, તો તે અન્ય સભ્ય દેશોની જેમ ત્રણ વર્ષના કાર્યકાળ માટે બોર્ડમાં જોડાશે. જો કોઈ દેશ ત્રણ વર્ષ પછી બોર્ડમાં પોતાનું સભ્યપદ ચાલુ રાખવા માંગે છે, તો તેણે 1 બિલિયન (આશરે ₹8,300 કરોડ) નું યોગદાન આપવાની જરૂર પડશે. બદલામાં, દેશને બોર્ડમાં કાયમી સભ્યપદ મળશે. આ રકમનો ઉપયોગ બોર્ડની પ્રવૃત્તિઓ અને કામગીરી માટે કરવામાં આવશે. હાલમાં, શરૂઆતના ત્રણ વર્ષના સભ્યપદ માટે કોઈ નાણાકીય યોગદાનની જરૂર રહેશે નહીં.
ગાઝામાં તબક્કાવાર પગલા લેવાની બોર્ડની તૈયારી
અહેવાલ મુજબ, બોર્ડના સભ્ય દેશો ટ્રમ્પના યુદ્ધવિરામ પ્રસ્તાવના બીજા તબક્કા હેઠળ ગાઝામાં આગામી પગલાંઓનું નિરીક્ષણ કરશે.ટ્રમ્પના વિશ્વ નેતાઓને લખેલા પત્રમાં જણાવાયું છે કે બોર્ડમાં સમાવિષ્ટ દેશો તેના સ્થાપક સભ્યો હશે અને વૈશ્વિક સંઘર્ષોના ઉકેલ માટે એક બોલ્ડ અને નવો અભિગમ શરૂ કરશે. આ તબક્કામાં વિવિધ પગલાઓ લેવાનું મુકરર કરાયું છે.જેમાં આ કાર્યોનો સમાવેશ છે.
1.ગાઝામાં નવી પેલેસ્ટિનિયન સમિતિની રચના
2.આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળની તૈનાતી
3.હમાસનું નિઃશસ્ત્રીકરણ
4.ગાઝાનું પુનર્નિર્માણ અને પુનર્વસન
5.શામેલ દેશો "સ્થાપક સભ્યો" હશે
વિશ્વ બેંકના વડા અજય બંગા પણ બોર્ડમાં જોડાયા
ભારતીય મૂળના અજય બંગા, જે હાલમાં વિશ્વ બેંકના પ્રમુખ છે, તેમને પણ શાંતિ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા 20-પોઇન્ટ રોડમેપના કેન્દ્રમાં રહેલા ટેક્નોક્રેટ્સમાં સામેલ હશે.
ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલ આ આમંત્રણ પત્ર શેર કર્યો. તેમણે લખ્યું, "મને શાંતિ બોર્ડમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ રજૂ કરવાનો સન્માન મળ્યું છે. આ બોર્ડ ગાઝામાં કાયમી શાંતિ લાવવા અને સ્થિરતા અને સમૃદ્ધિ માટે અસરકારક શાસનને ટેકો આપવા માટે કામ કરશે.